રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે આવેલી શ્રી.એસ.એફ. હાઇસ્કૂલમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કારકીર્દી માર્ગદર્શન કેમ્પનું આયોજન થયું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૦૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ભાવિ ઘડતર માટે મળતા વિકલ્પો અંગે જાણકારી મળી રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
આજના કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ભાગ લેનાર એસ.એફ.હાઈસ્કૂલની ધો.12મા ભણતી છોટાઉદેપુરની વિદ્યાર્થીની અંજનાબેન દિનેશભાઇ રાઠવાએ લાગણીસભર પોતાની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું કે, હું બહુ જ ચિંતા અને દ્વિધામાં હતી કે હવે 12મા ધોરણ પછી શું કરીશ તેમજ કેવા અને કયા ગતિશીલ અને ઉજ્જવળ ભાવિ વાળા ક્ષેત્રમાં પ્રવેશ લઉ? પરંતુ હું સરકારશ્રીની અને અમારા જિલ્લા શિક્ષણ વિભાગની ઋણી છું કે, તેઓએ મારા જેવા વિદ્યાર્થીઓ કે, જેમના ઘરમાં કોઈ ભણેલું તેમજ સરકારી કે ખાનગી નોકરીમાં જોડાયેલું કે આ અંગેની સમજણ શક્તિ ધરાવનારું નથી, તેવા સૌ અમો વિદ્યાર્થીઓ, પોતાના ઉજ્જવળ ભાવિ માટે સતત ચિંતાશીલ છીએ તેમના માટે એક સંજીવની સમા આ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમ અને અત્રેથી વિતરિત કરાયેલા માર્ગદર્શક સાહિત્ય થકી હું 12મા ધોરણ પછી મારા ભાવિ અંગે આગામી સુદ્રઢ આયોજન કરી શકીશ એવો મને દ્રઢ આત્મવિશ્વાસ કેળવાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


