*પ્રથમ દિવસે નિત્ય મંડપમાં આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા ના પાઠ તથા ભજન કરવામાં આવ્યા*
શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે . ધર્મ અને સંસ્કૃતિની પરંપરાઓને પ્રોત્સાહિત કરવા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે . શ્રી આનંદ પટેલ ( IAS ) , બનાસકાંઠા જીલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષશ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજીના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને સુચારું રીતે દર્શન થઇ શકે તથા અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સંચાલન કરવામાં આવી રહેલ છે . અંબાજીમાં દર્શનાર્થે પધારેલ યાત્રાળુઓએ તેમજ અંબાજીના ગ્રામજનોએ ટ્રસ્ટ દ્વારા કરેલ દરેક વ્યવસ્થામાં ખુબ જ સારો સહકાર આપેલ છે જે બદલ જીલ્લા વહીવટીતંત્ર , બનાસકાંઠા તમામનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને તેઓના સહકારને બિરદાવે છે . મંદિર નિર્માણ માટે શિલ્પશાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ સભામંડપ પછીનો મંડપ નૃત્યમંડપ તરીકે ઓળખાય છે . આ મંડપની વિશિષ્ટતા એ છે કે આ મંડપમાં બેસીને માઈભક્તો માતાજીના ગુણગાન ગાઈ શકે . સંસ્કૃતિના જતન માટે તેમજ અધ્યાત્મની ઉન્નતિ માટે ગ્રામ્ય કક્ષાએ ધાર્મિક ભજન મંડળીઓ પરંપરાગત ભજન , કીર્તન તથા સત્સંગ કરે છે . ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી પ્રોત્સાહિત કરવા તથા અંબાજી મંદિર ચાચર ચોક ખાતે દર્શન કરતા યાત્રાળુઓ ભક્તિભાવથી ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લે તથા ભાતીગળ સંસ્કૃતિથી અવગત થાય તેવા શુભ આશય સાથે આવતી કાલ મહાસુદ પૂનમને બુધવાર તા . ૧૬ / ૨ / ૨૦૨૨ થી અંબાજી મંદિરના ચાયર ચોક ખાતે દૈનિક ૨ ભજનમંડળી પારંપરિક ગરબા તથા પારંપરિક ભજન , કીર્તન , સત્સંગ કરી શકે તેવી સુચારું વ્યવસ્થા શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો દરરોજ ૨ ભજન મંડળી , મંદિર દર્શન માટે ખુલ્લું હોય તે સમયે ચાચર ચોક ખાતે ભજન કરી શકશે . ભજન મંડળીઓના ભક્તો માટે અંબિકા ભોજનાલય ખાતે વિનામૂલ્યે ભોજન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે . ભજન માટે ઈચ્છુક ભજન મંડળીઓ ટેમ્પલ ઇન્સ્પેકટર કાર્યાલયનો ( ૦૨૭૪૯ ૨૬૨૨૩૬ ) સંપર્ક કરી વિનામૂલ્યે નોધણી કરાવી શકશે . આગામી સમયમાં ભજન મંડળીઓ ભજન માટે વેબસાઈટ મારફત ઓનલાઇન બુકિંગ કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે . જેથી સમગ્ર ગુજરાત રાજ્ય કે અન્ય જગ્યાએથી પણ ભક્તો ઓનલાઈન બુકિંગ કરી માં અંબેના ચાચર ચોકમાં ભજન , કીર્તન કે સત્સંગ કરી શકે તેવી અદ્યતન વ્યવસ્થા શરુ કરવામાં આવશે . જગદ્જનની માં જગદંબા હાલમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુકત કરે તેવી આપણે સૌ હદયપૂર્વક પ્રાર્થના કરીએ.

