અમરેલી
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે હિંસક બની રહ્યા છે સતત હુમલાની ઘટનાઓ વધી રહી છે. સૌથી વધુ દીપડાના કારણે લોકો ફફડી રહ્યા છે. ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ૪ વર્ષીય બાળકી ચંદ્રિકાબેન દિનેશભાઇ ચારોલાને ઉઠાવી શિકાર કરવા માટે દૂર દૂર સુધી ઢસડી દીપડો લઈ ગયો હતો. જાેકે લોકોએ રાડા રાડ અને દેકારો મચતા દીપડાએ શિકાર કરી રહેલા મૃતકની બોડી ખેતીવાડી વિસ્તારમાં મૂકી નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ગામમાં પહોંચી અને તપાસ શરૂ કરી છે. મૃતકની લાશ પી.એમ.માટે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વનવિભાગ દ્વારા પંચરોજ કામગીરી હાથ ધરી હતી. પરિવારમાં માસુમનો દીપડો જીવ લઈ જતા ગમગીની ભર્યો માહોલ છવાયો છે. ઉચ્ચ કક્ષાએથી વનવિભાગને દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ મળ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં ૪ જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે અને વનવિભાગની ટીમો દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી કરી દેવાઈ છે. તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં ૧ મહિલાત પર દીપડાએ હુમલો કરતા મોત થયું હતું. ત્યારબાદ ધારીના ડાભાળી જીરા વચ્ચે સીમ વિસ્તારમાં દીપડાએ એક બાળકીને ઉઠાવી તેમનો શિકાર કર્યો હતો. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં સિંહણ દ્વારા ૬ વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી. છેલ્લે ખાંભાના નાની ધારી ગામમાં સિંહ દ્વારા ૧ ખેત મજૂરને ફાડી ખાવાની ઘટના માં મોત થયું હતું. આમ છેલ્લા એક થી સવા મહિના સુધીમાં સતત વન્યપ્રાણીની હુમલાની ઘટના વધી રહી છે.

