ગુજરાતભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે ૧૦માં દિવસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા રથનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યો અંગેની ફિલ્મ નિહાળી હતી.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોમતીબહેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ જેમ કે આયુષ્માન ભારત, એમ.એમ.વાય યોજના, ખેડૂતોને વીજ જોડાણ અંગેના પ્રમાણપત્ર તેમજ આંગણવાડીના બાળકોને કીટ વિતરણ, સરપંચને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળામાં ઉતીર્ણ થયેલા બાળકોના ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવાગામ પ્રાથમિક શાળાનો સ્કૂલ ઓફ એકસેલેન્સમાં સમાવેશ થતાં શાળાના શિક્ષકોની કામગીરીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઇ ડાંગરિયા, મામલતદાર શ્રી દેવળભાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાઠવા, શાળાના આચાર્ય શ્રી વિમલભાઈ, શ્રી કનકસિંહ, શ્રી જયેશભાઈ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી અશોકસિંહ જાડેજા, તલાટીમંત્રી શ્રી, અન્ય અધિકારીશ્રીઓ, શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકગણ, તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

