ગાંધીનગર
ગાંધીનગરના માણસાનાં માણેકપૂરા ગામે રહેતા હકાભાઈ સરદારભાઈ ઠાકોર પોતાના વતન બનાસકાંઠાનાં વજાપૂર ગયા હતા. જેમનો નાનો ભાઈ પશાજી કૂકરવાડાથી માણેકપૂર બાઈક લઈને જઈ રહ્યો હતો. એ વખતે વિહાર ચોકડી રોડ ઉપર ગાડી (નંબર જીજે-૧૮બીડી-૯૭૫૧) નાં ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા પશાજી ઠાકોર બાઈક પરથી ઉછળીને રોડ પર પટકાયો હતો. જેનાં કારણે તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત થતાં જ રાહદારી વાહનચાલકો પણ એકઠા થઈ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત પશાજીને કૂકરવાડા પીએચસી સેન્ટર લઈ જવાયો હતો. અહીં ફરજ પરનાં તબીબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમ્યાન પશાજીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના ભાઈ મહેસાણા સિવિલ દોડી ગયા હતા. જેમની ફરિયાદના આધારે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માણસાની વિહાર ચોકડી રોડ પર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારતાં બાઈક સવાર યુવાનનું કરૂણ મોત નિપજતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


