જ્ઞાન જ્યોતિ ઉત્સવ-મરિન ક્ષેત્રે અભિગમ’ અંતર્ગત ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨નાં વિદ્યાર્થીઓને દરિયાઈ ક્ષેત્રે રહેલી નોકરીની અપાર તકો વિશે માર્ગદર્શન અપાયું
ગિરગઢડા
ભરત ગંગદેવ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોરખમઢી અને ઈણાજ મોડેલ સ્કૂલ ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘જ્ઞાન જ્યોતિ ઉત્સવ-મરિન ક્ષેત્રે અભિગમ’ કરિયરલક્ષી સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરિયાઈ ક્ષેત્રે રહેલી નોકરીની અપાર તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત મેરિટાઈમ બોર્ડ જનરલ મેનેજર મેજર આશિષ મિશ્રા તેમજ મદદનીશ બંદર અધિકારી બી.પી.ખાપંડી દ્વારા સમુદ્રની અંદર તેમજ બહાર(ઑફ શોર કરિયર) બંદર વિભાગમાં વિવિધ ક્ષેત્રમાં કેવી રીતે નોકરીની તક મેળવી શકાય? ઉચ્ચ એજ્યુકેશન સિવાય ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ક્યા-ક્યા વિભાગમાં નોકરી કરી શકાય? કેપ્ટનનું કામ શું હોય? એન્જિનિયરનું કામ શું હોય? વગેરે માહિતી આપી કરિયરલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને એનિમેશન ફિલ્મ દ્વારા દરિયાઈ ક્ષેત્રે થતી વિવિધ કામગીરી પણ દર્શાવવામાં આવી હતી અને ધો.૧૦ પછી ડિપ્લોમા ઈન નૉટિકલ સાયન્સ, કોમર્શિયલ ડ્રાઇવિંગ વગેરે અને ધો.૧૨ પછી બીએસસી મરિન કેટરિંગ, બી.ઈ.નેવલ આર્કિટેક્ચર એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ, બીએસસી નોટિકલ સાયન્સ વગેરે વિશે ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને સમુદ્રમાં રસ પડે અને ગુજરાતના બંદરો વિશે વધુ માહિતી મળે તે માટે માહિતી વિભાગની “ભારતની આર્થિક પ્રગતિના પ્રવેશ દ્વાર ગુજરાતના બંદરો” પુસ્તીકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

