*ભરૂચ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DSCનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરાઈ*
નશાબંધી અને આબકારી વિભાગના ઇન્સ્પેક્ટર શ્રી બી. એસ. તડવીના અધ્યક્ષસ્થાને અને નાસાના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫૩ મી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી વિભાગ ભરૂચ અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DSCનાં ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ઝાડેશ્વર ખાતે ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ સાથે કાર્યક્ર્મ યોજાયો હતો.
આ પ્રસંગે ઇન્સ્પેક્ટર શ્રી બી. એસ. તડવીએ જણાવ્યું હતું કે,
આપણો દેશ દેવોની,અર્પણની અને તર્પણની ભૂમિ છે. આપણે સૌએ ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલવાનું છે. ગાંધીજીના સત્ય,અહિંસા, અને આત્મનિર્ભરતા જેવા આદર્શોને જીવંત રાખીએ અને ભાવી પેઢી સુધી લઈ જઈએ. ગાંધીજીનું મુખ્ય સૂચન હતું કે નશાથી દુર રહીએ ત્યારે આજની પેઢી તમામ પ્રકારના નશાથી દુર રહે એ જરૂરી છે.
ગાંધી જયંતિ નિમિત્તે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે મહેમાનોના હસ્તે વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોકની કેન્દ્રના કેસા પ્રજાપતિએ કર્યું હતું.
નશાબંધી ખાતાના નિયોજક શ્રી દોલતસિંહ, તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચના શ્રી દ્રષ્ટિ દિનેશ પંડ્યા, ડી.એસ.સી.ના ચેરમેન શ્રી કીર્તિ જોશી, નાસાના વૈજ્ઞાનિક ડૉ.મિતુલ ત્રિવેદી, શ્રીમતી મૃદુલાબહેન તેમજ તરણભાઈ ત્રાલસાવાલા સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરી હતી. ઉપસ્થિત તમામ નાગરિકોએ નશાબંધી માટે પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રને મજબૂત બનાવવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.

