સુરત
દહાણું નજીકના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા રાંદેરના દંપતિને પલસાણા પાસે મોપેડ સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દંપતિ પૈકી પત્નીને ગંભીર ઇજા થઇ હતી અને ૧૨ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ વડોદરાના વતની અને હાલ રાંદેર રોડ ગુ.હા.બોર્ડમાં સંતોષ ભાગવત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન કરે છે. તેઓને કોઇ સંતાન નથી. ગત તા. ૨૪મી ઓક્ટોબરના રોજ બપોરના સમયે સંતોષભાઇ પત્ની સુનિતા (ઉ.વ.૫૫) સાથે દર્શન કરીને એક્ટીવા ઉપર પરત ફરી રહ્યા હતા. દરમિયાન પલસાણા હાઇવે પાસે એક્ટીવા સ્લીપ થઈ જતા બંનેને ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સુનિતાબેનનું શુક્રવારની રાત્રીએ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


