વડોદરા
શહેરના હાથીખાના ફતેપુરા વિસ્તારમાં આવેલ કવિ સુન્દરમ પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઇ જવાના કારણે કોર્પોરેશન દ્વારા ડીમોલેશન કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના બિલ્ડીંગને જમીનદોસ્ત કરાયાને ઘણો સમય વિતી ગયો હોવા છતાં, સ્કૂલ ન બનતા સ્થાનિક લોકો દ્વારા વહેલીતકે શાળાનું નિર્માણ કરવાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તથા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ચેરમેને વહેલીતકે સ્કૂલનું બિલ્ડીંગ બનાવવા આશ્વાસન આપ્યું છે. શહેરના હાથીખાના ફતેપુરા વિસ્તારમાં આવેલી કવિ સુન્દરમ પ્રાથમિક શાળાની બિલ્ડીંગ તથા તુલસી વાડી વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય તેને ર્નિભય કરવા અંગેના કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી હતી . ત્યારબાદ હાથીખાના વિસ્તારની કવિ સુન્દરમ પ્રાથમિક શાળા ડિમોલેશન કરવામાં આવી હતી. અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્કૂલોના બિલ્ડીંગ ડિમોલેશનને ઘણો સમય વિતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા આ બંને સ્કૂલોના બિલ્ડીંગ બનાવવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક વિસ્તારોના બાળકોને દૂર શાળામાં જવાના વખત આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સત્તાવાળાઓને નવા બિલ્ડીંગ બનાવવા માટે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. આમ છતાં, તંત્ર દ્વારા માત્રને માત્ર જવાબો આપી દેવામાં આવતા હતા. દરમિયાન આજે સ્થાનિક શબ્બિરભાઇ પટેલની આગેવાનીમાં સ્થાનિક લોકોએ વહેલી તકે શાળાની ઇમારતનું નિર્માણ થાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન હિતેશ પટણી અને શાસન અધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમાં જણાવાયું હતું કે વિસ્તારના ૧ હજાર જેટલા વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડતા ટ્રાવેલિંગનો પ્રશ્ન ઉભો થયો છે. આથી વહેલી તકે ડિમોલેશન કરવામાં આવેલી સ્કૂલોના બિલ્ડીંગ બનાવવા માટે રજૂઆત રજૂઆત કરી હતી. શહેરની જર્જરીત શાળાઓનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે ૧૨૯ વર્ગખંડ સાથેની મંજૂરી આપી છે. હાલ ત્રીજી વખતની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ કામગીરી ચાલુ થશે.


