મહેસાણા
મહેસાણાના વિજાપુર નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી મકરાણી દરવાજા સુધી બનતા સીસીરોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાના કારણે આ વિસ્તારમાં આવેલા દુકાનદારોનો વેપાર-ધંધો ખોરવાઈ જવા પામ્યો છે. જ્યારે આસપાસના રહીશોને રોડની ધીમી કામગીરીને કારણે રોજબરોજની અવરજવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોડનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. આ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર સહિત મોદીના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા શહેરના ટાવર ચોકથી મકરાણી દરવાજા સુધી નવીન સીસીરોડ બનાવવા સારું છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં જુના રોડને નવીન રોડ બનાવવા માટે તોડી નાખવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડી પાડ્યા બાદ નવીન રોડનું કામ ધીમું ચાલતું હોવાથી તે વિસ્તારમાં અવનજવન કરતા વાહન ચાલકો અને વિસ્તારના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી આ રોડનું કામ સત્વરે પૂર્ણ થાય તેવી તે વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓની માંગ છે.
