જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૦ વર્ષ દરમિયાન સરકારે કરેલ વિકાસલક્ષી કાર્યો અંગેની ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. તેમજ બાળાઓ દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
લાલપુર પ્રાંત અધિકારીશ્રી ગોવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં ભણગોર, કાઠીતળ, ખાયડી, નંદુરી, મોટા ભરૂડિયા, વાવડી, વિજપુર, ગોદાવરી તેમજ ધરપુર ગામના સરકારની વિવિધ યોજનાઓ જેમાં આયુષ્માન ભારત યોજના, એમ.એમ.વાય.યોજના, વ્હાલી દીકરી યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાઠીતળ ગામે રૂ.૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્ટ્રીટ લાઇટના કામોનું તથા અવેડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરશીભાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. આર. સોજીત્રા, સરપંચ શ્રી ગોરધનભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જેશાભાઈ, શ્રી મરશીભાઈ, શ્રી ચકુભાઈ, અધિકારીશ્રીઓ, શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

