Gujarat

કામધેનુ યુનિવર્સિટીમાંથી ૪ મદદનીશ પ્રાધ્યપકશ્રીઓ, ૫ અનુસ્નાતક ડોકટરો અને ૩૨ સ્નાતક ડોકટરોની ટીમને જામનગર મોકલાઈ તેમજ જિલ્લામાં હાલ 25 એમ્બ્યુલન્સ કાર્યરત  

જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે માન.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા આજથી ચાર દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લાના ૧૦૦% ગૌપશુધનનું રસીકરણ કરવામાં આવશે. 

જામનગર જિલ્લાના ૪૧૭ ગામડામાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા ૧૩૮૧૭૬ છે તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૩૩૧૫ છે જે તમામ પશુઓને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી છે. આ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે ૬૪૧૮૨ પશુધનને રસીકરણ દ્વારા સુરક્ષીત કરવામાં આવ્યા છે. 

જામનગર જિલ્લાના લાયઝનિંગ ઓફિસર અને નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. અમિતભાઈ કાનાણી એ જણાવ્યું હતું કે, લમ્પી સ્કિન ડીસીઝ રસીકરણ ઝુંબેશને વિશેષ વેગ આપવા માટે તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાય વર્ગના પશુધનના રસીકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવાના ઉદેશ્ય સાથે આજથી ચાર દિવસ સુધી શરૂ થયેલ વેકસીનેશન અભિયાનમાં પશુઓની વિશેષ કાળજી તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપી કામધેનુ યુનિવર્સિટીમાંથી ૪ મદદનીશ પ્રાધ્યપકશ્રીઓ, ૫ અનુસ્નાતક ડોકટરો અને ૩૨ સ્નાતક ડોકટરોની ટીમને જામનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. હાલ પશુઓની સારવાર માટે ૨૫ પશુ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. આ અભિયાનમાં દરેક ગામડાઓને આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *