આહવા
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઉમરપાડા અને ટાકલીપાડાના ૮ યુવાન રણજીત જાદવ, મોહન ચોહાન, રાહુલ પવાર, કલ્પેશ ગાયકવાડ, રોહિત પવાર, હરેશ બરડે, શૈલેશ વાઘમારે અને ગણેશ ભોયે એક મહિના અગાઉ દાડમની કટીંગ માટે અમદાવાદ ખાતે ખેતરમાં મજૂરીકામ માટે ગયા હતા. જે કામ પતાવી ગત ૭મી જુલાઈના રોજ અમદાવાદ ગીતા મંદિર બસ ડેપોમાં ઉભા હતા ત્યારે સાદા ડ્રેસમાં એક વ્યક્તિ આવી યુવાનોની બેગ ચેક કરતાં બેગમાંથી દાડમ કટીંગ કરવાની કાતર મળી આવી હતી. બેગમાંથી કાતર મળતા તેઓને પોલીસ ચોકી પર લઈ ગયો હતો. પોલીસ ચોકીમાં યુવાનોને પગ તેમજ તળિયાના ભાગે માર માર્યો હતો તેમજ તેના કોઈ મિત્રને વિડીયો કોલ કરી અમે આતંકવાદીઓ પકડ્યાં છે તેવું જણાવી યુવાનોને માર માર્યો હતો. જ્યાં હાજર અન્ય હોમગાર્ડ જેવા દેખાતા શખસે પણ માર માર્યો હતો. છ યુવાનોના અન્ય મિત્રો પણ તેમને શોધતા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને ભારે આજીજી બાદ ૬ યુવાનને પોલીસે છોડી મૂક્યાં હતા. જે યુવાનો બસ દ્વારા આહવા પોતાના વતન આવી પહોંચ્યા બાદ આજરોજ તેમને દુઃખાવો થતાં તેઓ સારવાર અર્થે આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. બનાવ અંગે આહવા પોલીસે તમામ યુવાનોના નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડાંગના વઘઇના બે યુવાનના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ બાદ અમદાવાદમાં યુવાનો પર પોલીસ દ્વારા અમાનુષી વર્તન ગુજારતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ડાંગ જિલ્લાના વઘઈના બે યુવાનોના ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણની શાહી હજી સુકાઈ નથી જ્યાં અમદાવાદ પોલીસ દ્વારા આદિવાસી યુવાનોને લોક-અપમાં માર મારવાની બીજી ઘટના બની છે, જે ચલાવી લેવાશે નહીં. આ પ્રકરણમાં ૮ યુવાનને માર મારનાર પોલીસ અને હોમગાર્ડને સસ્પેન્ડ કરી તેની સામે સખત પગલા લેવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં જલદ આંદોલન કરીશું. જેની સરકાર નોંધ લે.


