NGO, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીના અધ્યાપકો અને કુલપતિશ્રીઓ વચ્ચે અભ્યાસક્રમ નિર્માણ સંદર્ભે કાર્યશાળા યોજાઈ
————
ભારતભરમાં દસ કાર્યશાળા યોજાશે જે પૈકીનો પહેલો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયો
————-
ગીર સોમનાથ, તા.૮: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ એનસીએફ નવા અભ્યાસક્રમનું નિર્માણ કરી રહી છે. આ અભ્યાસક્રમ નિર્માણ સંદર્ભે NCERT ના અધિકારીઓની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ, NGO, બાલમંદિરથી લઈ યુનિવર્સિટી સુધીના અધ્યાપકો અને કુલપતિશ્રીની વચ્ચે ચિંતન અને ચર્ચાઓ થાય એવા હેતુથી ડિવાઈન રિસોર્ટ, વેરાવળ ખાતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન થયું હતું.
આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એકમાત્ર દસ્તાવેજ નથી. શિક્ષણ એ વિકાસની ધૂરી છે. મૂલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિનું માળખું નક્કી કરી અને નવા ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. આ પોલીસી અંતર્ગત વિવિધ તજજ્ઞોની મદદથી ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. જ્ઞાનની પરંપરા એ આપણી ખૂબ મહાન પરંપરા છે. આપણે એમના વાહકો છીએ. જ્ઞાન-વિજ્ઞાન ટેકનોલોજી એ શિક્ષણનો મહત્વનો પાયો છે. આપણે એવા વ્યક્તિઓનો સમૂહ છીએ જેમણે પરિવર્તન માટે હંમેશા મન ખુલ્લું રાખ્યું છે.
ઋષિમુનીઓ સમયની વેદકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યુ હતું કે, મૂળ સંસ્કૃતિને યથાયોગ્ય રાખી નવી પેઢીને કશુંક આધુનિક પીરસવાનો આ સહિયારો પ્રયાસ છે. આ શિક્ષણનીતિની ખૂબ જ પહેલા જરૂર હતી પરંતુ હવે મને આનંદ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ ભગીરથ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વર્તમાન ભારતની શિક્ષણનીતિ અને અમલીકરણના પડકારોને સમજવા અત્યંત અગત્યના છે. આ માટે રિસર્ચ પર ભાર મૂકવો અત્યંત આવશ્યક છે. શિક્ષણનીતિના અમલીકરણ માટે એક યોગ્ય માળખું તૈયાર કરી અને આમૂલ પરિવર્તનની જવાબદારી આપણા સૌની છે. નોંધનીય છે કે ભારતભરમાં આવા દસ કાર્યક્રમો યોજાશે જે પૈકીનો પહેલો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લામાં યોજાયો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, NCERT અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યશાળામાં પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની, પ્રો. જયરાજસિંહ જાડેજા, ડો.જબાલી જે વોરા, પ્રો. નરેન્દ્રકુમાર ગોંટિયા, ડો.ચેતન ત્રિવેદી, ડો.ગીરીશ ભીમાણી, ડો.એમ.એમ.ત્રિવેદી, ડો.લલિત પટેલ એમ આઠ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, દક્ષિણામૂર્તિ, લોકભારતી, સાંદિપની જેવી શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય વિવિધ NGO, ડાયટ પ્રિન્સીપાલ શ્રી વી.એમ.પંપાણીયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.કે.વાજા સહિત સિલેક્ટેડ કોલેજના પ્રોફેસર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્ય, ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
