જૂનાગઢના માખિયાળા ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦ જેટલા પશુપાલકોએ લાભ લીધો હતો. જેમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
માખિયાળા ગામના ગજેરા સમાજ ખાતે આયોજિત આ શિબિરનો પ્રારંભ કરાવતા ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું કે, ખેતીની સાથે વ્યવસાયિક ધોરણે પશુપાલન અપનાવવામાં આવે તો ખૂબ મોટા લાભો પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે પશુપાલન કરવામાં આવે તો તેના વિશેષ આર્થિક લાભો મેળવી શકાય છે. આમ, ખેતી અને પશુપાલન એકબીજાના પુરક છે. જેને વ્યવસાયિક ધોરણે અપનાવવાથી ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.
આ શિબિરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક રાઠોડ, નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિર, મદદનીશ પશુપાલન નિયામક ડો.એ.પી.ગજેરાએ પશુ સંવર્ધન, પોષણ, માવજત, રસીકરણ સહિત પશુ આરોગ્યના મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ડો.એસ.બી.સાવલિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે ઉડાણપૂર્વક જાણકારી આપી હતી.
આ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મુક્તાબેન પરમાર, જિલ્લા પશુપાલન સમિતિના ચેરમેનના પ્રતિનિધિ શ્રી જોલિતભાઈ બુસા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પ્રવિણભાઇ પટોળિયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કાંતિભાઇ ગજેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરને સફળ બનાવવા માટે ડો.દૂધાત્રા સહિત તાલુકાની પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.


