નવસારી
નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક લોકોનું સ્થાળાતર કરવામાં આવ્યું છે. તેમજ અનેક લોકો પોતાના ઘરે હજી પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યાં છે. ત્યારે કોઈ અકસ્માત કે મૃત્યુની ઘટના વખતે તંત્રને દોડધામ વધી જતી હોય છે. રૂસ્તમ વાડીમાં એક મહિલાનું મોત થયું હતું. જાેકે, પાણીનું વહેણ વધારે હોવાના કારણે મૃતદેહ ઘરે જ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયરની ટીમ મહિલાના ઘર સુધી પહોંચીને નાવડીમાં તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દૃશ્યોને નિહાળી પરિવારજનો ભાવુક થયા હતા. આકાશી આફત સામે મુશ્કેલીમાં મુકાયેલા નવસારીના અસરગ્રસ્ત પરિવારોને નવસારી-વિજલપોર નગરપાલિકાએ જિલ્લા તંત્ર સાથે મળી નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડયા છે. સાથે જ તમામ લોકોના ચા-નાસ્તા સાથે ભોજનની વ્યવસ્થા પણ પાલિકા કરી રહી છે. પાલિકા સિવાય શહેરની સામાજિક સંસ્થાઓએ પણ સેવાનો હાથ લંબાવી લોકોને મદદ કરી રહી છે. રોજથી જ નવસારી આવી પહોંચેલા પ્રભારી અને પાણી-પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ રામજી મંદિરે બનતા ભોજન અંગે તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. કોઈપણ ભૂખ્યો ન રહે એની તકેદારી રાખવા સૂચન કર્યુ હતું. પ્રભારી પ્રધાન સાથે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિતના અધિકારી પદાધિકરીઓ પણ જાેડાયા હતા. શહેરના નીચેવાળા વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે ત્યારે તે તમામના ભોજનની વ્યવસ્થા માટે પાલિકા તંત્ર બન્યું છે. સાથે જ વ્યવસ્થાની ચકાસણી કરવા માટે પ્રભારી મંત્રી જીતુ પટેલ સાથે ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત જિલ્લા કલેકટર પણ રામજી મંદિર પહોંચ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લોકો સ્વયંભૂ રીતે ઘરેથી બહાર આવ્યા નથી જેને કારણે તંત્રને અકસ્માતની સ્થિતિમાં તેમને રેસ્ક્યુ કરવા માટે તકલીફ પડી શકે છે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના જણાવ્યાં મુજબ વિકટ સ્થિતિ આવે તો તેમણે એ માટે હેલિકોપ્ટર સુધીની વ્યવસ્થા કરી નાખી છે. જાે શહેરમાં પાણી વધે અને તેના કારણે લોકોને સ્થાળાતર કરવા પડે તો પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે.નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ બની છે. ત્યારે રુસ્તમ વાડી વિસ્તારમાં એક ૭૦ વર્ષીય મહિલાનું પાણીના પૂરમાં મોત થયું હતું. જેથી નાવડીમાં તેના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.


