ભાવનગર
ભાવનગરમાં જિલ્લા ટૉબૅકો કંટ્રોલ સેલ દ્વારા કોળીયાક બીચ (નિષ્કલંક મહાદેવ) તમાકુ મુક્ત કરવાના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન અંતર્ગત આગામી ૨૩ ડિસેમ્બરને શુક્રવારે જિલ્લા પંચાયતથી સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન ૧૩ ડિસેમ્બર સુધી બારકોડ સ્કેન કરીને કરી શકાશે. ભાવનગર આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, જિલ્લા ટૉબૅકો સેલના ડૉ. સુનિલ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૭ કલાકે જિલ્લા પંચાયત ભાવનગરથી સાયકલ મેરેથોન યાત્રા તમાકુથી થતા સામાજિક નુકસાનથી બચવા જનજાગૃતિના સંદેશ સાથે કાળાનાળા ચોક, માધવ દર્શન, ઘોઘા સર્કલ, કોળીયાક ગામ, ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોળીયાક(નિષ્કલંક મહાદેવ) સુધી ૨૬ કિલોમીટરની સાઈકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ પર ધુમ્રપાન કરનારાને દંડ કરાશે અને સામાજિક સંદેશ અપાશે, આ રેલીમાં ભાગ લેવા માટે બારકોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન ૧૩ ડિસેમ્બર સુધી કરી શકાશે. રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેમને ટી-શર્ટ, ટોપી ભાવનગર જિલ્લા પંચાયત ખાતેથી ૨૩ ડિસેમ્બરે સવારે ૬ઃ૩૦ કલાકે વિનામૂલ્યે અપાશે. આથી રજીસ્ટ્રેશન કરાવવા અને જનજાગૃતિ તમાકુ મુક્ત સાયકલ મેરેથોનમાં ભાગ લેવા આરોગ્યતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.


