રાજકોટ
રાજકોટના વોર્ડ નંબર ૧૨માં રોડ રસ્તાઓ મામલે સ્થાનિકો સાથે વશરામ સાગઠિયા રજુઆત માટે પહોંચ્યા હતા. જાે કે તેઓ આ અંગેની રજૂઆત કરે તે પહેલાં જ વિજિલન્સ પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો વધુ બીચકયો હતો. અને વશરામ સાગઠિયાની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. આ તકે વશરામ સાગઠિયાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ખુદ મેયરના વોર્ડમાં રોડ-રસ્તા મુદ્દે લોકો હાલાકી ભોગવતા હોવાથી આ વિસ્તારના લોકો સાથે રજૂઆત કરવા આવ્યો હતો. દરમિયાન જાણે લોકોના પ્રશ્ને રજુઆત કરવી ગુનો હોય તેવી રીતે મારી અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે આ વિસ્તારનાં રહેવાસી પાંભર પુયુષનાં જણાવ્યા મુજબ, અમારો વિસ્તાર શહેરનાં મેયરનો વોર્ડ હોવા છતાં છેલ્લા ૧૦ વર્ષથી આ રસ્તાનો પ્રશ્ન ઉકેલાયો નથી. રસ્તો બિસ્માર હોવાને કારણે વારંવાર શાળાનાં વિધાર્થીઓ સહિત લોકોને ઈજાઓ થયાનાં બનાવો બની ચુક્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. મેયરનો વોર્ડ હોવા છતાં આ મામલે કોઇ પગલાં નહીં લેવાતા અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ રજુઆત સાંભળવાને બદલે અમારી પણ અટકાયત કરાઈ છે. આપના કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા આજે માધવપાર્કનાં રોડ મામલે રજૂઆત કરવામાં આવી છે. જાે કે આ જગ્યા કલેક્ટરનાં કબ્જાની હોવાથી મેં ચાર મહિના અગાઉ આ મામલે કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી. પરંતુ ત્યાંથી મળેલા જવાબ મુજબ આ જગ્યા માટે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી હાલ કોઈ કામગીરી થઈ શકે તેમ નથી. ત્યારે તેના વિકલ્પ માટે અમે અન્ય પ્રાઇવેટ માલિકીની જમીન કોર્પોરેશન દ્વારા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. વશરામ સાગઠિયા માત્ર મત મેળવવા માટે આવી ખોટી રજૂઆતો લાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મેયરે લગાવ્યો છે.રાજકોટમાં મેયર ડો.પ્રદીપ ડવના વોર્ડ નંબર ૧૨માં વરસાદી પાણીના કારણે રોડ પરનો ડામર જાણે ખોવાઈ જ ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા જેને પગલે મસ મોટા ખાડા પડી જવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે સ્થાનિકો દ્વારા આપ નેતા વશરામ સાગઠીયા સાથે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જાેકે ત્યાં આપ નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે વશરામ સાગઠિયાની અટકાયત કરવામાં આવી હતી.


