Gujarat

લોકોને વિકાસના ફળ મળે અને નાનામાં નાના માણસના પ્રશ્નોનો પણ ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવા સૂચન કરતા મંત્રીશ્રી

પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા તેમજ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામો ઝડપથી થાય, વહીવટી પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તેમજ લેવાયેલ નિર્ણયોની ત્વરિત અમલવારી થાય તે જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને અંગત લક્ષમાં લઈ તેના હકારાત્મક નિકાલ માટે સૌ પોતપોતાની જવાબદારી સુપેરે નિભાવે તે ઇચ્છનીય છે.

જિલ્લાના વિકાસના પાયામાં આપ સૌ અધિકારીશ્રીઓનો સહકાર અપેક્ષિત છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સૌ સંયુક્ત રીતે સાથે મળી જામનગર જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા પ્રયત્નશીલ રહીએ. લોકોને વિકાસના ફળ મળે તેમજ નાનામાં નાના લોકોના પ્રશ્નોનો પર હકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે.

બેઠકમાં મંત્રીશ્રીએ એસ.ટી.વિભાગ, પીવાના પાણીના પ્રશ્નો, વીજળી, 15 માં નાણાં પંચના બાકી કામો, સિંચાઇ, સ્ટ્રીટ લાઈટ, યુરીયા ખાતર, રખડતાં ઢોર સહિતના પ્રશ્ને અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી સમીક્ષા કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Collector-kacheri-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *