મુંબઈ
આઈપીએલ ૨૦૨૨ની પૂરી સિઝન મુંબઇમાં ત્રણ સ્ટેડિયમ હોવાના કારણે બીસીસીઆઇ માટે મહારાષ્ટ્ર પ્રથમ પસંદગીનું સ્ટેડિયમ છે. મુંબઇના વાનખેડે, બ્રેબોર્ન તથા ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લીગ મુકાબલા રમાડવામાં આવી શકે છે. જાે બોર્ડને જરૂર પડશે તો પૂણે ખાતે કેટલીક લીગ મેચો રમાડવામાં આવી શકે છે. હાલમાં બોર્ડ મહારાષ્ટ્રમાં લીગ તબક્કો તથા અમદાવાદમાં પ્લે ઓફ રાઉન્ડનું આયોજન કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ભારતમાં કોવિડ-૧૯ની મહામારી વધશે નહીં તો ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે. આ ઉપરાંત બીસીસીઆઇ ૨૫ ટકાની ક્ષમતાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા અંગે પણ વિચારી રહ્યું છે. પ્રેક્ષકોને પ્રવેશ આપવા અંગે બોર્ડ રાજ્ય સરકારની મંજૂરી લેવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડના કેટલાક અધિકારી તથા કેટલીક ફ્રેન્ચાઇઝીના માલિકો લીગને ૨૭મી માર્ચથી શરૂ કરવા અંગે માગણી કરી રહ્યા છે પરંતુ કેટલાક વ્યક્તિઓ આ લીગને બીજી એપ્રિલથી રમાડવા ઉપર ભાર મૂકી રહ્યા છે. આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સે પોતાનો લોગો લોન્ચ કર્યો હતો. લોગોમાં એક બેટ દેખાઈ રહ્યું છે જેની ઉપર ગરુડ આકારમાં ત્રિરંગાના પીંછા લગાવવામાં આવ્યા છે અને તેની નીચે ટીમનું નામ છે. ફ્રેન્ચાઇઝીનો લોગો પ્રાચીન ભારતની પૌરાણિક કથાઓથી પ્રેરિત છે. જેમાં ગરુડ પક્ષીની રફતાર સૌથી ઝડપી માનવામાં આવે છે. બેટની વચ્ચે એક લાલ બોલ પણ રાખવામાં આવ્યો છે જે એક શુભ જય તિલક સમાન છે. લખનઉની ટીમ તમામ ભારતીયની ટીમ છે જે ત્રિરંગા દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
