નવીદિલ્હી
યુક્રેનના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતુ કે, મોરીયુપોલ શહેરમાં એક થિયેટરમાં રશિયન હવાઈ હુમલામાં લગભગ ૩૦૦ લોકો માર્યા ગયા હતા. રશિયાના હુમલાથી બચવા લોકોએ આ થિયેટરમાં આશરો લીધો હતો. સ્થાનિક પ્રશાશનના જણાવ્યા અનુસાર ૧૬ માર્ચે થિયેટરમાં થયેલા હુમલામાં મૃત્યુઆંક ૩૦૦ આસપાસ હતો. જાે કે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું,બાદમાં કામદારોએ સ્થળનું સંપૂર્ણ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. હવાઈ હુમલા પછી તરત જ, યુક્રેનિયન સંસદના માનવ અધિકાર કમિશનર લ્યુડમિલા ડેનિસોવાએ જણાવ્યું હતું કે ૧,૩૦૦ થી વધુ લોકો બિલ્ડિંગમાં આશ્રય લઈ રહ્યા છે. ખાર્કિવની બહાર શુક્રવારે ધુમ્મસ છવાયું હતું અને સવારથી જ સતત ગોળીબાર થઈ રહ્યો હતો. ઘણા ઘાયલ સૈનિકોને શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમના દેશને તેના લશ્કરી સંરક્ષણને જાળવી રાખવા વિનંતી કરી છે.બીજી તરફ રશિયાની સેનાએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે કિવ ક્ષેત્રમાં યુક્રેનિયન ફ્યુઅલ બેઝનો નાશ કર્યો છે. વ્લાદિમીર ઝેલેન્સકીએ તેના વીડિયો સંબોધનમાં કહ્યું હતું કે, અમારા સંરક્ષણના દરેક દિવસ સાથે, અમે શાંતિની નજીક જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ જરૂર છે. આપણે એક મિનિટ માટે પણ રોકાઈ શકતા નથી, કારણ કે દરેક મિનિટ આપણું ભવિષ્ય નક્કી કરે છે કે આપણે જીવીશું કે નહીંપ.! તેમણે કહ્યું કે યુદ્ધના પહેલા મહિનામાં ૧૨૮ બાળકો સહિત હજારો લોકો મૃત્યુ પામ્યા.ઉપરાંત દેશભરમાં ૨૩૦ શાળાઓને નષ્ટ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે શહેરો અને ગામડાઓ ‘રાખના ઢગલા’માં ફેરવાઈ ગયા છે. બ્રસેલ્સમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પશ્ચિમી સહયોગીઓને વિમાનો, ટેન્ક, રોકેટ, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને અન્ય શસ્ત્રો માટે વિનંતી કરતા કહ્યું કે, આપણો દેશ સામાન્ય દેશ છે,તેથી મૂલ્યોનું રક્ષણ કરવું જરૂરી છે.આ દરમિયાન, યુએસ પ્રમુખ જાે બાઈડન અને તેમના પશ્ચિમી સાથીઓએ રશિયાના હુમલાના જવાબમાં તેના પર નવા પ્રતિબંધો લાદવાનું અને યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે.


