નાના-મોટા વાહનચાલકો ટોલટેક્સ ભર્યા વગર થઈ રહ્યા છે પસાર : તાલુકા ભાજપના પ્રમુખના પતિ રસિક ચાવડાની લુખ્ખી : પોલીસ પણ મૂક, સૂરદાસ બની રોજ જૂએ છે ભાજપની ગુંડાગીરીનો તમાશો !
રાજકોટ જિલ્લાના, ઉપલેટા નજીકના ડુમિયાણી ટોલનાકે ત્રણ-ચાર દિવસથી શરૂ થયેલી બબાલ બંધ થવાનું નામ લેતી નથી. જાણકારો આક્ષેપ કરે છે કે, ટોલનાકે નવા સંચાલક મયુર સોલંકી દ્વારા નિયમોનુસાર ટોલટેક્સ વસુલવાનું ચાલુ કરતાં ભાજપના ધારાસભ્ય અને તેમના મળતીયાઓના પેટમાં જાણે તેલ રેડાઈ ગયું હોય તેવો તાલ સર્જી દાદાગીરી વચ્ચે વાહનચાલકોને વગર ટોલટેક્સ ભર્યે આગળ જવા દેવામાં આવે છે. આ વાતથી સરકારની તિજોરીને ખાસ્સું નુકશાન પહોંચતુ હોવાનું ટોલટેક્સ સંચાલકો કહે છે.
રાજકોટ – પોરબંદર નેશનલ હાઇવે પર ઉપલેટાના ડુમિયાણી ટોલનાકા પર છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાહનચાલકોએ નવા સંચાલકો સાથે માથાકૂટ શરૂ કરી છે અને ટેક્સ ભર્યા વગર વાહન આગળ જવા દેવાની વાત વ્યાપક બનતા ટોલપ્લાઝાના નવા સંચાલકોએ કડક કાર્યવાહી અને નિયમો બનાવવા શક્રીય થયા હતા. પણ કહેવાય છે કે આ જગ્યાએ ભાજપના લોકોએ જ ગુંડાગીરી આચરી હોવાની પ્રકાશમાં આવતી વિગતોથી હવે સરકારના ઉચ્ચ તંત્રે હવે ઘડારૂપ કાર્યવાહી કરવાની કે પગલાં ભરવાની માંગ થઈ છે.
જાણકારો કહે છે કે, સ્થાનિક ધારાસભ્ય અને સાથે તાજેતરમાં એક બેઠક બોલાવાઈ હતી અને તેમાં ટોલટેક્સ ઘટાડવા બાબતે રજૂઆતો થતાં મામલો તંગ બન્યો હતો. જો કે કહેવાય છે કે અહી કોઈ ભાવ વધારો કરાયો નથી. રાબેતા મુજબના નિયમો વચ્ચે ટોલટેક્સ વસૂલાય છે. પણ વાહન ચાલકોને ભાજપના આગેવાનો છાવરી રહ્યાં હોવાના આક્ષેપો થયા છે.
જાણકારો કહે છે કે, સ્થાનિક ધારાસભ્યે બેઠક દરમિયાન ” માથાકૂટ તો થશે જ ” તેવી વાત દોહરાવી શાંત બેઠકમાં પલીતો ચાંપતા ટોલ પ્લાઝા પર બબાલ શરૂ થઈ છે તે ત્રણ-ચાર દિવસથી બંધ થવાનું નામ લેતી નથી. ટોલપ્લાઝા નજીકના જાણકાર વર્તુળો કહે છે કે, ધારાસભ્ય પાડલીયા ઉપરાંત તાલુકા ભાજપના મહિલા પ્રમુખ રસિક ચાવડાની લુખ્ખી દાદાગીરી વચ્ચે તેમના મળતીયાઓ ટોલપ્લાઝા પર બૂમ બેરિયર બેરીકેડને નુકશાન પહોંચાડી, સ્ટાફનો જીવ જોખમાય તે રીતે ફૂલ સ્પીડે પસાર થઈને ભયનું વાતાવરણ ઊભું કરે છે.
બોક્સ : અગાઉ કેમ ક્યારેય ડખ્ખો ન થયો ? ધોરાજી-ઉપલેટાના જાગૃત લોકો કહે છે કે કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાના કાળ દરમિયાન કોઈ દિવસ ડુમિયાણી ટોલનાકે કોઈ પણ પ્રકારે વિવાદ કે બબાલ નથી થઈ. મતલબ કે જે સરકાર ગુંડાગીરી હટાવવા માંગે છે તે ભાજપ સરકારના જ ગુંડાઓ દ્વારા ગુંડાગીરી આચરવામાં ત્યારે આમાં પ્રજાએ કેમ સલામત રહેવું તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
બોક્સ : તો શું ગુંડાગીરી માટે ભાજપમાં જોડાવાનું ? ઉપલેટાના શાણા લોકો કહે છે કે એક બાજુ દેશના સાહેબ દેશમાંથી ગુંડાગીરી નાબૂદ કરવા મથે છે. અનેકને જેલ ભેગા કરી દીધા છે. પણ સરકારની આ વાત ધોરાજી અને ઉપલેટામાં કોઈને લાગુ પડતી નથી કારણકે અહી ગુંડાગીરીમાં ભાજપનાં જ આગેવાનો, ધારાસભ્ય અને મળતીયાઓની સામેલગીરી સાબિત થતી હોય શું ગુંડાગીરી માટે ભાજપમાં જોડાઈ જવું કે શું ? તેવો પ્રશ્ન ઊઠવાયો છે


