સાગર નિર્મળ
જૂનાગઢ
ભાગ, ભભૂતી, ભજન, ભોજન અને ભક્તીનો મિલાપ
જૂનાગઢનાં ભવનાથ તીર્થક્ષેત્ર ખાતે જીવનું શિવ સાથે મિલન કહેવાતો પરંપરાગત મહા શિવરાત્રીનો મેળો શરૂ થતાની સાથે જ ભક્તોનું બહોળી સંખ્યામાં આગમન થયું હતું ત્યારે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત અને વહીવટીતંત્રની જહેમત વચ્ચે મહા શિવરાત્રીના મેળામાં ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ રહ્યો હતો. તો બીજી તરફ શિવભક્તો મેળામાં ધૂણી ધખાવી નાગા સાધુએ હર હર મહાદેવના જયકારા સાથે ભક્તિ અને ભજનની શરુઆત કરી હતી.
બીજી તરફ નાગા સાધુઓના આશીર્વાદ લેવા ભક્તો મેળામાં ઉમટી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં મનોરંજન પૂરું પાડવા માટે ચક્કડોળ બાળકો તેમજ યુવાનો માટે અલગ અલગ રાઈડસ અને ખાણીપીણીનાં સ્ટોલ અને અન્નક્ષેત્રો બે દિવસ પહેલા દિવસથી જ ધમધમી ઉઠ્યા હતા ત્યારે અંદાજે આ દિવસોની અંદર 15 લાખની સંખ્યામાં આ મહાદેવના મેળામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા, શિવરાત્રીના મેળાનો લ્હાવો લેવો એટલે મોક્ષ પામવો તેવી પણ એક લોકવાયક છે. શ્રી પંચ દશનામ જૂના અખાડાના થાનાપતિ બુધ્ધગીરી મહારાજે જણાવ્યું હતું કે,
નાગા સન્યાસીની પરંપરા સતયુગથી ચાલી આવે છે, નાગા સાધુઓના ઇષ્ટદેવ દત્તાત્રેય ભગવાન જેમને સન્યાસની રચના કરી હતી, જેમણે નાગા સન્યાસી દિગંબર પરંપરાની રચના કરી હતી. નાગા સન્યાસીઓ શિવરાત્રીના દિવસે કુંન્ડલીની શક્તિને જાગૃત કરે છે અને કુંન્ડલીની શક્તિ જાગૃત થાય ત્યારે જ તે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકાય છે અને અમે સન્યાસી ધર્મના રક્ષકો છીએ.
ભક્તિભાવ શ્રદ્ધા સાથે આવેલ ભક્તો માટે શિવરાત્રીમાં જૂનાગઢનાં મેળાનું એક આગવું મહ્ત્વ રહ્યું છે. જૂનાગઢ ગિરિવર ગીરનાર ની ગોદ માં ચાલી રહેલા મહાશિવરાત્રીના પાવન દિવસે હર હર મહાદેવનાં નાદથી ગગન ગુંજી ઉઠ્યું હતું.
જુનાગઢ ભવનાથ તિર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રિના દિવસે અનેક અખાડાના સાધુ સાધ્વીની રિવેળીમાં દીગમ્બર સાધુ દ્વારા વિવિધ કરતબ જેવીકે, લાઠી દાવ, તલવાર દાવ નિહાળી લોકો ધ્યાનમગ્ન થયા હતા. શિવરાત્રીનો મેળા શુભારંભ 15 ફેબ્રુઆરી થી શિવરાત્રી સુધી માં અંદાજે 15 લાખ ઉપરના શ્રદ્ધાળુઓ માટે આવેલા ઉતારામાં લાઈટ અને પાણીની સુવિધા તેમજ શ્રદ્ધાળુઓને આવવા જવા માટે બસ અને રેલ્વે તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જગતના નાથ જ્યાં બિરાજમાન હોય તેવી જૂનાગઢની પાવન ભૂમિ પર એક અનોખી અનુભતી શ્રદ્ધાળુને કાયમ માટે થતી હોય છે.
આમ પરંપરાગત રીતે દત ભગવાનની પાલખી તેમજ અનેક અખાડા દ્વારા શોભાયાત્રા નીકળ્યા બાદ દિગમ્બર સાધુ ભવનાથ મંદિર સ્થિત મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ આજ મેળાની પુર્ણાહુતી કરવામાં આવી હતી


