જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે, જામનગર આત્મા પ્રોજેકટ હેઠળ નોંધાયેલા તમામ એફ.આઈ.જી. ગૃપોને કૃષિ ક્ષેત્રે કરેલી પ્રગતિને અને કાર્યોને પ્રોત્સાહન મળી રહે અને તેમના યોગદાનની પ્રશંસારૂપે કૃષિ ક્ષેત્રમાં તેમના ફાળાને બિરદાવવાના હેતુથી ‘બેસ્ટ ઓર્ગેનાઈઝડ ગ્રુપ એવોર્ડ ૨૦૨૧-૨૨‘ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજના હેઠળ દર વર્ષે આત્મા યોજનાના એફ.આઈ.જી. ગ્રૂપોને એવોર્ડ આપવામાં આવે છે. વિજેતા બનેલા બેસ્ટ એફ. આઈ.જી. ગૃપને પ્રોત્સાહન રૂપે ખેતી ઉપયોગી સાધનો આપવામાં આવશે.
આ એવોર્ડ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લાના કોઇપણ આત્મા એફ.આઈ.જી. ગૃપે જે- તે તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેકટના બી.ટી.એમ. અને એ.ટી.એમ. સ્ટાફ પાસેથી અરજી પત્રક લઈને વર્ષ ૨૦૨૧- ૨૨ની વિગતો ભરીને આગામી તા. ૨૨/૦૨/૨૦૨૩ સુધીમાં, જરૂરી કાગળો જોડીને આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરની કચેરી, આત્મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સ રોડ, જામનગર અથવા જે- તે તાલુકાની કચેરીએ પહોંચાડવાની રહેશે.
સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલ અરજી પત્રકો ધ્યાને લેવામાં આવશે નહિ, તેમ આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ એવોર્ડ પ્રોજેક્ટમાં મહત્તમ સંખ્યામાં એફ.આઇ.જી. ગૃપ્સ ભાગ લે તેવો આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
