ખંભાત
વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા ખંભાતના રાણા ચકલા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે શાકોત્સવ હોવાથી સાતમણ રીંગણ અને પાંચમણ બાજરીના રોટલાનો મહાપ્રસાદ દરેક હરિભક્તોને આપવામાં આવ્યો હતો. શાક સમારવાની સેવા મહિલા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી. આ આખા કાર્યક્રમનું આયોજન શાસ્ત્રી સ્વામી આસિસ્ટન્ટ કોઠારી ધર્મનંદનદાસજી ની દેખરેખ હેઠળ થયું. જ્યારે મંદિરના સંતો અને સ્વયંસેવકોએ તેમા સાથ સહકાર આપ્યો હતો. ૩૦ નવેમ્બર ૧૮૨૦ના રોજ પ્રથમ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણે આજથી ૨૦૨ વર્ષ પહેલાં બનાવેલ રીંગણાનું શાક અને રોટલા હરિભક્તોને પ્રસાદ માટે પીરસ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે લોયામાં જ્યારે પ્રથમ શાકોત્સવ કર્યો ત્યારે ૧૮ મણ રીંગણા શાકમાં બારમણ ઘીનો વઘાર કર્યો હતો. ત્યારે ખૂબ ભાવ અને પ્રેમથી લોકોને જમાડ્યા હતા. એ જ પ્રણાલી પ્રમાણે આજે દરેક સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ થાય છે. ધનુર માસમાં હરિભક્તોને નાસ્તો અપાય છે ઉલ્લેખનીય છે કે ખંભાત સ્વામીનારાયણ મંદિરના સ્વામી વેદાંત વલ્લભદાસજી આસિસ્ટન્ટ કોઠારી સાથે ધર્મનંદનદાસ, ભક્તિનંદનદાસ, પ્રેમ સ્વરૂપદાસ, વૈકુંડ સ્વામી, ચેતન સ્વામી, પતિત પાવન સ્વામી, યોગેશ ભગત આખા ધનુર માસમાં રોજ સવારે ૨૦૦૦થી ૨૫૦૦ હરિભક્તોને નાસ્તો બનાવી પ્રસાદ રૂપે આપે છે. સેવામાં જાેડાયેલા સર્વે સ્વયં સેવકો મળીને આ પ્રસાદ બનાવે છે અને ઠાકોરજીની આરતી થયા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આજરોજ સ્વામીના મંદિર ખાતે શાકોત્સવ હોવાથી સાતમણ રીંગણ અને પાંચમણ બાજરીના રોટલા નો મહાપ્રસાદ દરેક હરિભક્તોને આપવામાં આવ્યો હતો.


