‘મેરી કહાની, મેરી જુબાની’માં યોજનાના લાભાર્થીઓએ સફળ ગાથા રજૂ કરી અન્યોને પ્રેરણા પુરી પાડી
છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે જેતપુર-પાવી તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતોમાં ઘરે-ઘરે રથ ફરી સ્થાનિક લોકોને વિવિધ સરકારી યોજનાના લાભથી લાભાન્વિત અને માહિતગાર થયા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તા.૧૭ ડીસેમ્બરના રોજ જેતપુર તાલુકાના ઈટવાડ અને પાણી ગામે આવી પહોંચતાં ગ્રામજનોએ ઉષ્માભેર રથનું સ્વાગત કર્યું હતું જેની સાથે જ જેતપુર તાલુકામાં સંકલ્પ યાત્રાનું આ તાલુકાના તમામ ગામ સંપન્ન થયા હતા. જેતપુર તાલુકાના કૂલ ૫૩ ગ્રામ પંચાયતોમાં આ સંકલ્પ યાત્રાએ ઘરે ઘરે જઈ યોજનાકીય પ્રચાર પ્રસારની કામગીરી કરી હતી. આ ૫૩ ગ્રામ પંચાયતો અને આજુબાજુના ૧૨૩ ગામ મળી કૂલ ૨૫ હજાર જેટલા લાભાર્થીઓ આ રથયાત્રાનો હિસ્સો બન્યા હતા, તેમજ ૨૬ દિવસ માં આ રથ યાત્રા દિવસ દરમિયાન કૂલ ૧૦૧ બનેનોને રથ યાત્રામાં સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ગામના સરપંચે ગ્રામજનોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબલક્ષી યોજનાઓ અને ગરીબ કલ્યાણ મેળા થકી મળતો લાભ સીધો લાભાર્થીના ખાતામાં આપ્યો છે. વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે, એમ જણાવી વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જેતપુર તાલુકામાં આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન, જન ધન યોજના, પીએમ કિસાન યોજના અને જમીન માપણી સર્વે જેવા કાર્યોમાં ૧૦૦% સેચ્યુરેશન મેળવવામાં આવેલ છે.
આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાની માહિતી અને સહાય કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તમામ લાભાર્થીઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્યમાન ભારત, મિશન મંગલમ, આત્મા પ્રોજેક્ટ, આઈસીડીએસ અને પીએમ કિસાન યોજનાઓના લાભાર્થીઓએ તેમની સફળ ગાથા રજૂ કરી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. રથ અંતર્ગત ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કેવી રીતે થાય તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

