ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ તાલુકાના સેગવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ‘જનસમર્થન’ સંમેલનને સંબોધિત કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા અને મતદારોને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી.

સંઘવીએ પોતાના પ્રવચનમાં ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, “વલસાડ જિલ્લાના ધરમપુર હોય કે ગ્રામ્ય વિસ્તાર, કોઈ ગરીબ પરિવારની દીકરી સાંસદ બનીને સંસદમાં કેમ ન બેસી શકે?”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે વિપક્ષના લોકો અને કોંગ્રેસીઓ ગામમાં આવે ત્યારે તેમને સવાલ પૂછજો કે એક ગરીબ મહિલાને દેશની સંસદમાં જતા રોકવાનું પાપ તેમણે કેમ કર્યું? ગૃહ રાજ્યમંત્રીએ નારી શક્તિનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓએ મહિલા વિરોધી માનસિકતા છોડવી પડશે. તેમણે જનમેદનીને સંબોધતા કહ્યું કે, “આજે કયા મોઢે વિપક્ષીઓ મહિલાઓના મત માંગવા તમારી પાસે આવે છે?”

