રાજકોટ
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ મામલે હવે કાનૂની લડતના મંડાણ થયા છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા દાદાના અપમાન બદલ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું કે હનુમાનજી એ સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ છે. ભગવાનના જેટલા પણ અવતાર થયા તેમની હનુમાનજીએ સેવા કરી છે. હનુમાનજીએ ભગવાનના અવતાર સ્વામિનારાયણ ભગવાનની પણ અનેક વખત સેવા કરી છે. આ મામલે જાે કોઇને પ્રશ્ન હોય તો યોગ્ય ફોરમ પર જઇને વાત કરે. જે નોટિસ મોકલવામાં આવી છે તે મુદ્દે કોર્ટમાં યોગ્ય જવાબ આપવામાં આવશે. એડવોકેટ રવિ રાઠાડે જણાવ્યું કે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે, ત્યારે આ વિવાદિત ચિત્રો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આગળ કાનૂની કાર્યવાહી કરાશે. બીજી તરફ નૌતમ સ્વામીએ સત્સંગીઓને વિચલિત ન થવાની પણ સલાહ આપી. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે. સ્કંદપુરાણ સહિતના પુરાણોમાં તેમનો ઉલ્લેખ છે. જાે કોઇએ ચર્ચા કરવી હોય તો સ્વામિનારાયણના સંતો દરેક મુદ્દે જવાબ આપવા તૈયાર છે. બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંતચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

