જનપ્રશ્નોના નિવારણ માટેનું સશક્ત માધ્યમ સ્વાગત કાર્યક્રમ બની ચૂક્યો છે. તેવા જ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ અરજદારોને રૂબરૂ સાંભળી, તેમના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ૧૫ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, તે સંદર્ભે કલેકટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશ આપી, જનપ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કલેકટર કચેરી ખાતેના મુખ્ય સભાખંડમાં આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં કલેકટરશ્રીએ એક પછી એક અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળ્યા હતા. તેમની રજૂઆતોને ધ્યાને લઈ કાયદા અને નિયમોની મર્યાદામાં ઉચિત નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં ગૌચર, પેશકદમી, પૂરના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ, સીમ વિસ્તારના રસ્તા, જાતિના દાખલા, વિકાસના કામો સહિતની બાબતે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

