રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ બીપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને માંગરોળ બંદરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જેટી પર જઈ માછીમારોની સુરક્ષા અને તેમની બોટોને નુકસાન ન થાય તે માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
તેમણે જણાવ્યું કે, માછીમાર સમુદાયના લોકોની સુરક્ષા અને તેમની બોટોને નુકસાન ન થાય તે માટેની વ્યવસ્થાઓ તપાસી છે. રાજ્ય સરકાર પણ ખાસ કરીને દરિયાકાંઠામાં લોકોના જાન માલને નુકસાન ન થાય તે માટે આગોતરા પગલાં લઈ રહી છે. આ સાથે મંત્રીશ્રીએ બોટોની પાર્કિંગ વ્યવસ્થા અને દરિયાઈ પાણીના સ્તર વિશે પણ પદાધિકારી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
મંત્રીશ્રીની માંગરોળ બંદરની જેટીના ફેસ ૧ અને ૩ ની મુલાકાત દરમિયાન સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, ખારવા સમાજના અગ્રણી શ્રી પરસોત્તમભાઈ ખોરાવા, દામોદર ચામુંડીયા સહિતના આગેવાનો ઉપરાંત પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.


