જેતપુરમાં ભૂગર્ભ ગટર વાટે ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારો સામે લાલ આંખ કરતું ડાઇંગ એસોશીએશન
પેટા
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નગરપાલિકા તંત્રને કહ્યું બટકાવી નાખો પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારોના નળ કનેક્શન !!
જેતપુરની ભાદર નદીને પ્રદુષિત કરતા પ્રદૂષણ માફિયા સામે પગલાં લેવા હવે ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પણ કડક બન્યું છે. જેતપુરની ભાદર નદીમાં ભૂગર્ભ ગટર દ્વારા દૂષિત પાણી ઠાલવતા આવા પ્રદુષણ માફિયા સામે પગલાં લેવા હવે ભૂગર્ભ ગટરના કનેક્શન કાપીને કાયદેસરની કર્યાવહી કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નગરપાલિકાને ખુદ ડાઇંગ એસોસિયેશન દ્વારા અપીલ કરાઇ છે,
રાજકોટ જિલ્લાના જેતપુરનો સાડી ઉદ્યોગ જેટલો પ્રખ્યાત છે. તેટલો જ ભાદર નદીમાં પ્રદુષણ બાબતે બદનામ છે. સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણી વહન કરવાની ગટરો જ બંધ કરી દીધી. અને દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરના જુદીજુદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફત નંખાવવાનો અમલવારી કરાવવામાં આવી રહી છે.
પરંતુ કેટલાક પ્રદુષણ માફિયાઓ હજુ પણ તેમના યુનિટોનું કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરો તેમજ ભૂગર્ભ ગટરમાં વહાવી દઈને ભાદર નદીને પ્રદુષિત કરી રહ્યા છે. તેમાંય તાજેતરમાં પડેલ સારા વરસાદથી અત્યારે ભાદર નદી સ્વચ્છ અને તાજા પાણીથી ભરેલ છે. નદીના આ સ્વચ્છ પાણીમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ભૂગર્ભ ગટરમાં તેમના કારખાનાનું પાણી છોડી તે પાણી સીધું નદીમાં ઠાલવી રહ્યા છે.
બોક્સ : ભાઈ મે તો ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાની જ ના પાડી છે : વાંકાણી
આ અંગે પ્રદુષણ બોર્ડના અધિકારી વી. બી વાંકાણીએ જણાવેલ કે,અમોએ તો નગરપાલિકાને પેહેલાંથી જ લેખિતમાં સૂચના આપેલ છે કે ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ ગટર જ ન નાંખવી અને નાંખી હોય તો જોઇન્ટ જ ન આપવો. તેમ છતાં નગરપાલિકા કારખાનાઓને ભૂગર્ભ કનેક્શન આપે છે અને આવા કારખાનાઓ નદીમાં પ્રદુષણ ફેલાવે છે.
બોક્સ : જેતપુર પાલિકના પ્રમુખ-ચીફ ઓફિસર શું કહે છે ?
જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે અમોએ નગરપાલિકાને લેખિતમાં આપેલ છે કે સાડી ઉદ્યોગના તમામ કારખાનાઓના કનેકશન કાપી નાખો. જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ કે, અમોને પ્રદુષણ બોર્ડ કારખાનાઓને કનેક્શન જ ન આપવા સૂચન કરેલ અને ડાઇંગ એસોસિએશને કનેકશન આપેલ હોય તે કાપી નાખવા લેખિત રજુઆત કરી છે તે વાત સાચી છે. અને અમોએ ઉપલા અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરેલ છે કે હવે નવા કારખાનાઓને ભૂગર્ભ ગટરના કનેકશન ન આપવા. અને જેટલા કારખાનાઓને ભૂગર્ભ કનેશકન આપેલ તેઓ ગટરમાં પાણી છોડે છે તેવી ફરીયાદ બાદ અમો જીપીસીબીને સાથે રાખીને તપાસ કરી તે કારખાનાનું ભૂગર્ભ ગટરનું કનેક્શન કાપી નાખીએ છીએ. આમછતાં પ્રદુષણ માફિયાઓ ભાદર નદીના તાજા અને સ્વચ્છ જળને પ્રદુષિત કરી રહ્યા છે. જો આવા કારખાનાઓ ઉપર તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહિ આવે તો તાજું વરસાદી પાણીથી ભરેલ ભાદર નદી કેમિકલ યુક્ત પાણીથી ભરાય જાય તો નવાઈ નહિ તેવી જાગૃત લોકોએ દહેશત વ્યક્ત કરી છે.


