દર વર્ષે તારીખ 10 મી જૂનના દિવસે 'વિશ્વ નેત્રદાન દિવસ' મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને
મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવા માટે પ્રોત્સાહિત બને તે હેતુથી ઉજવવામાં આવે છે. સામાન્ય જનતાને અંધત્વપણું,
દૃષ્ટિની ક્ષતિ અને આંખના રોગો વિશે હજુ પણ જાણકારી નથી. આંખમાં થતાં ઇન્ફેકશનની જો તાત્કાલિક સારવાર કરવામાં ના
આવે તો દ્રષ્ટિ ઝાંખી પડી શકે છે. અથવા તો અમુક કિસ્સામાં દ્રષ્ટિ જઈ પણ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં, કેન્દ્ર સરકારે મૃત્યુ બાદ અંગદાનને પ્રોત્સાહન આપવા માટે ₹149.5 કરોડ (US$19
મિલિયન) ના બજેટ સાથે 'નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ' એટલે કે 'રાષ્ટ્રીય અંગદાન કાર્યક્રમ' અમલમાં મૂક્યો છે.
આ તકે, જામનગરની જી. જી. હોસ્પિટલના નેત્ર વિભાગના રેસીડેન્ટ ડો. સુશ્રી રોનક સખીયા જણાવે છે કે, ચક્ષુદાન કરવાથી તમે
એક વ્યક્તિના જીવનમાં રોશની પાથરી શકો છો. દરેક વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાનમાં તમારા કોર્નિયાનો સમાવેશ થાય
છે. જો કોર્નિયા ક્ષતિયુક્ત હોય, તો આ પ્રકારની આંખોનો ઉપયોગ તબીબી સંશોધન અને શિક્ષણ માટે થઈ શકે છે. અત્રે આંખના
ચેકઅપથી લઈને આઈ ટ્રાન્સપ્લાન્ટ સુધીની તમામ પ્રોસેસ વિનામૂલ્યે કરવામાં આવે છે. તેમજ જામનગરની સરકારી શાળાના
વિદ્યાર્થીઓને ચશ્માંનું વિતરણ કરાય છે, અને તેમને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા છે.
નેત્ર વિભાગના રેસીડેન્ટ ડો. સુશ્રી ધારા લાઠીયા જણાવે છે કે, નેત્રદાન મૃત્યુ પછીના 6 કલાક સુધીમાં કરવાનું હોય છે. ત્યારબાદ
આંખો નકામી બની જાય છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને
ઓખાથી પણ દર્દીઓ સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતી વખતે તેમજ
ખેતરનો કચરો ઉડવાથી બાળકોમાં૪ આંખનું ઇન્ફેક્શન વધુ જોવા મળે છે. તેથી આંખમાં નાનકડું ઇન્ફેક્શન પણ હોય, તો તુરંત
જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આઈ ડોનેશનના મોટાભાગના કિસ્સામાં વ્યક્તિનું શરીર નવી આંખોનો
સ્વીકાર કરી લે છે. નેત્રદાનની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. બજારમાં રૂ. 2000 ની કિંમત ધરાવતા આંખના ટીપાં, ક્રીમ
અને ટ્યુબ અત્રેથી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
અત્યારે નેત્ર વિભાગના વડા શ્રી ડો. દેવદત્ત ગોહિલના માર્ગદર્શન હેઠળ શ્રી ડો. વૈભવ પંવાર, શ્રી ડો. અદીબા હુસૈન, શ્રી ડો. પૂર્વા
ત્રિવેદી, શ્રી ડો. પાયલ પટેલ સહિત 30 જેટલા ડોક્ટર્સ દિવસ- રાત લોકોની સારવાર અર્થે કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વપ્રસિદ્ધ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરાએ નેત્રદાન કરવા માટેનો સંકલ્પ કર્યો છે.
નેત્રદાન ઝુંબેશમાં અન્ય જાણીતા કલાકારો અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, રાણી મુખર્જી અને આલિયા ભટ્ટે
પણ અંગદાનના મહત્વ અને પ્રચાર પ્રસારમાં અગત્યની ભૂમિકા ભજવી છે.
શું હું નેત્રદાન કરી શકું છું?
નેત્રદાન કરવા માટે ઉંમર, લિંગ, જાતિ, ધર્મ કે અન્ય કોઈ બાધ નથી. નેત્રદાન એ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધાર રાખે છે.
ચશ્માં પહેરવાથી, મોતિયો થવો કે તમારું બ્લડગ્રુપ અલગ હોય, આ સમસ્યાઓથી નેત્રદાનમાં કોઈ મુશ્કેલી થતી નથી. વ્યક્તિના
મૃત્યુ બાદ તરત જ નજીકની હોસ્પિટલ કે આઈ બેંકને જાણ કરો.
નેત્રદાન મૃત્યુ બાદના 6 કલાકની અંદર જ હોવું જોઈએ. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી નેત્રદાનનો સંદેશો જરૂરથી
ફેલાવવો જોઈએ. નેત્રદાન કરવા માટે કોઈ મહત્તમ વય મર્યાદા નથી.
ઉલ્લેખનીય છે કે, અત્યારે વિશ્વભરમાં ઓછામાં ઓછા 2.2 બિલિયન લોકો દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે. જેમાંથી ઓછામાં ઓછા 1
બિલિયન લોકોની દ્રષ્ટિની ક્ષતિ એવી રીતે બની હતી, કે જેને અટકાવી શકાઈ હોત. આ માટે જ દરેક વ્યક્તિ ચક્ષુદાન કરે તે અતિ
આવશ્યક છે.
આઈ બેંક / નેત્ર બેંક શું છે?
આઈ બેંક, કે જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન માટે દાન કરેલી આંખોની જાળવણી કરે છે, અને જરૂરિયાત ધરાવતા
વ્યક્તિઓ સુધી પહોંચાડે છે. વિશ્વમાં સૌ પ્રથમવાર વર્ષ 1905 માં સફળ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ 1944
માં સૌ પ્રથમ આંખ/આઈ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત વર્ષમાં 5400 જેટલા ચક્ષુદાન કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં અંધત્વ દર 0.9% થી
ઘટીને 0.3% થયો છે. રાજ્યમાં ચક્ષુદાનનું પ્રમાણ 55% જેટલું જોવા મળ્યું છે. વર્ષ 2022- 23 માં કેન્દ્ર સરકારના 'રાષ્ટ્રીય
નેત્ર જ્યોતિ અભિયાન' અંતર્ગત ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં ચક્ષુદાનની બાબતમાં અને આંખના રોગોની સારવાર કરવાની
બાબતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.


