Gujarat

જામનગર જિલ્લામાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કાર્યક્રમ દરમિયાન જરૂરી પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા

જામનગર જિલ્લામાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કાર્યક્રમ દરમિયાન જરૂરી પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા

જામનગર તા.18 સપ્ટેમ્બર,જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થાય છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના રોજ નકકી કરેલા રુટ ઉપર વિસર્જન સરઘસ નીકાળીને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. આ મૂર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોની ઉપયોગ થતો હોવાથી નદી કે તળાવમાં રહેતા માછલીઓ જેવા પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યોને પણ નુકસાન થાય છે.

જેથી ઉક્ત તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખતા, જિલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.) તેમજ કેમિકલયુક્ત રંગોને કારણે પાણીજન્ય જીવો, પશુઓ તેમજ માનવજીવનને થતા નુકસાનને અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરુરી જણાય છે.

એન્વાર્યન્મેન્ટ પ્રોટેક્શન એક્ટ-1986ની કલમ-5 મુજબ, રાજ્ય સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગની સૂચના મુજબ તથા ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી આપેલ આદેશ અનુસાર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં અત્રે જણાવ્યા મુજબના પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

(1) શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં પ્લાસ્ટર ઓફ પેરિસ તેમજ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહિ.
(2) મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવા નહીં.
(3) ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકશે નહિ.
(4) સક્ષમ સ્થાનિક સતામંડળે મૂર્તિ વિરજન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહિ. તેમજ મૂર્તિ વિસર્જન કરવા માટે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન થઈ શકશે નહિ.
(5) મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કુવા કે સમુદ્રમાં વિસર્જન થઇ શકશે નહિ. તેમજ પૂજન વિધિ કર્યા બાદ નદીઓ, તળાવો, સમુદ્રના કિનારે રાખવી નહીં કે પધરાવવી નહિ. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ.
(6) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે, તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહિ. તે અંગે, સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સતાધિકારીએ તકેદારી રાખવી. જામનગર જિલ્લા બહારથી મૂર્તિઓ લાવીને વેચનાર મુર્તિકારી/વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે.
(7) આયોજકોએ બેઠકની ઊંચાઈ 12 ફૂટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ. તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ 15 ફૂટથી વધારે રાખી શકશે નહિ.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા.19 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બરના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

 

bfb4777400b3a72e27e0c6e18bdd8f29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *