સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં ડિસેમ્બર-૨૦૨૦માં રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમૃત આહાર ઉત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશનું વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહના આ ઉત્સવમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં ૧૨.૫૦ લાખના પ્રાકૃતિક કૃષિ પેદાશનું વેચાણ થયું હતું. જેથી ખેડૂતોને મળેલા પ્રતિસાદથી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પેદાશો આવી જ માર્કેટમાં વેચાણ કરવાનું નક્કી કર્યું. ખેડૂતો રોડ પર બેસીને પણ પ્રાકૃતિક પેદાશોનુ વેચાણ કરવા તૈયાર હતા. પરંતુ જૂનાગઢ આત્માની ટીમે ખેડૂતોને યોગ્ય જગ્યા મળી રહે તે ગતિવિધિ હાથ ધરી અને આ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખને રજૂઆત કરી, તેમણે પણ સકારાત્મક અભિગમ રાખવી સરદારબાગ ખાતે નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીને રીનોવેટ કરવા માટે અનુદાન ફાળવ્યું અને હાટ તૈયાર થયું. આમ, જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ હાટનો જન્મ થયો.
