ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો હતો. આસપાસના ગામડાઓ પર રાખનો વરસાદ થયો છે. વિસ્ફોટ બાદ ધુમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટરની ઉંચાઈ સુધી ગયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આસપાસના ગામોના લોકો અને પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગ્યાકાર્તા પાસેના જાવા દ્વીપના આ જ્વાળામુખીની ઊંચાઈ ૯૭૩૭ ફૂટ છે. વિસ્ફોટ બાદ તેની રાખ શિખરથી ૯૬૦૦ ફૂટ ઉપર ગઈ હતી. સ્થાનિક પ્રશાસને આસપાસના સાત કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવ્યો છે. દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ કહ્યું કે અત્યારે જ્વાળામુખીથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. લોકોને તે વિસ્તારથી દૂર જવા માટે કહેવામાં આવ્યું છે. અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે રાખના કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે જ જ્વાળામુખીની ગરમ માટીના ફ્લડની પણ સંભાવના છે. વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે. જ્વાળામુખી ફાટ્યા પછી વારંવાર વરસાદ પડે છે. આ જ્વાળામુખીની ખૂબ નજીક લગભગ આઠ ગામો આવેલા છે. જ્યાં રાખનો વરસાદ થયો છે. આ જ્વાળામુખી બે વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં સતત ગર્જના કરતો હતો. પછી તે ૨૮ દિવસ સુધી લાવા ફેંકતો રહ્યો. વર્ષ ૨૦૧૦માં આ જ્વાળામુખી ફાટવાને કારણે ૩૪૭ લોકોના મોત થયા હતા. માઉન્ટ મેરાપી જ્વાળામુખી ૧૫૪૮થી સમયાંતરે ફાટી રહ્યો છે. ૨૦૦૬થી આ જ્વાળામુખી વધુ સક્રિય બન્યો છે. એપ્રિલ ૨૦૦૬માં ફાટી નીકળવાના કારણે આસપાસના વિસ્તારોમાં ૧૫૬ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મે ૨૦૧૮માં માઉન્ટ મેરાપી ફરીથી ફાટી નીકળ્યો. જેના કારણે ૫ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. યોગ્યાકાર્તાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. કારણ કે કેટલાય દિવસોથી આકાશમાં રાખના કારણે અવરજવર અવરોધાઈ હતી. દંતકથાઓ… જ્યારે આત્માઓ બહાર આવે છે, ત્યારે વિસ્ફોટ થાય છે?.. શું આ માન્ય છે ખરા?.. સ્થાનિક લોકોમાં એવી દંતકથાઓ પ્રચલિત છે કે પૃથ્વી પર માત્ર માણસો જ રહેતા નથી. આત્માઓ પણ ત્યાં રહે છે. જાવાનીઝ ક્રેટોનની આત્મા માઉન્ટ મેરાપીની અંદર રહે છે. આ આત્માઓના શાસકો એમ્પુ રામા અને એમ્પુ પરમાડી છે. જ્યારે આ આત્માઓ બહાર જાય છે અને તેમના રાજ્યની મુલાકાત લે છે, ત્યારે મેરાપી પર્વત વિસ્ફોટ થાય છે. મોટાભાગના સક્રિય જ્વાળામુખી ફક્ત ઇન્ડોનેશિયામાં જ છે?.. તે જાણો.. વિશ્વમાં ૧૫૦૦ સક્રિય જ્વાળામુખી છે. વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં છે. અહીં કુલ ૧૨૧ જ્વાળામુખી છે. જેમાંથી ૭૪ જ્વાળામુખી ૧૮૦૦થી સક્રિય છે. તેમાંથી ૫૮ જ્વાળામુખી વર્ષ ૧૯૫૦થી સક્રિય છે. એટલે કે તેઓ ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે છે. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ થી સાત જ્વાળામુખી સતત ફાટી રહ્યા છે. આ છે- ક્રાકાટોઆ, મેરાપી, લેવોટોલોક, કારંગેટાંગ, સેમેરુ, ઇબુ અને ડુકોનો. આ જ્વાળામુખી શા માટે ફાટે છે?.. તે જાણો.. હવે સવાલ એ થાય છે કે અહીં આટલા બધા સક્રિય જ્વાળામુખી કેમ છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ, જ્યાં ઇન્ડોનેશિયા સ્થિત છે, ત્યાં યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. ભારતીય-ઓસ્ટ્રેલિયન ટેકટોનિક પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે. ફિલિપાઈન પ્લેટ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હવે આ ત્રણ પ્લેટમાં અથડામણ કે લપસવાને કારણે જ્વાળામુખીનો સતત વિસ્ફોટ થતો રહે છે. હકીકતમાં ઈન્ડોનેશિયાને જ્વાળામુખી ફાટવાનો દેશ પણ કહેવામાં આવે છે. આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. મોટાભાગની ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થાય છે. જેના કારણે ભૂકંપ, સુનામી, લાવા ડોમનું નિર્માણ વગેરે બનતા રહે છે. ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી કેલુત અને માઉન્ટ મેરાપી છે. આ બંને જાવા પ્રાંતમાં છે. હવે અમે તમને તે ચાર અન્ય દેશો વિશે જણાવીએ જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. ઈન્ડોનેશિયા પછી જાે કોઈ દેશમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. તો તે અમેરિકા છે. અહીં ૬૩ સક્રિય જ્વાળામુખી છે, જાપાનમાં ૬૨, રશિયામાં ૪૯ અને ચિલીમાં ૩૪ છે. એટલે કે આ તમામ જ્વાળામુખી કાં તો વિસ્ફોટ કરી રહ્યા છે. અથવા કોઈપણ સમયે વિસ્ફોટ થઈ શકે છે.


