Gujarat

રાજકોટમાં બ્રિજ પર કારચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ મોત, કારચાલક નશામાં હોવાની આશંકા

રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ, પરંતુ કારચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. આ દરમિયાન આગળ બ્રિજથી નીચે ઉતરતાની સાથે જ તેની કાર વીજપોલ સાથે અથડાઈ હતી.

જે બાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસે કારમાં સવાર બન્ને શખ્સોની અટકાયત કરી મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. મૃતક કિરીટભાઈ નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મિત્ર સાથે ચા પી છુટા પડી ઘરે જતા હતા. દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાતા તેઓ ઘરે પહોંચી શક્યા ન હતા અને તેઓ મોતને ભેટ્યા હતા.

ભાગવા જતાં કાર બીજપોલ સાથે અથડાઈ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક ઓવરબ્રિજ ખાતે આજે વહેલી સવારના 4થી 4.30 વાગ્યાના અરસામાં એક કાર નંબર જીજે.03.એલએમ.1990 પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી શીતલપાર્ક ચોક નજીક આગળ વધી રહી હતી. દરમિયાન બ્રિજની ઉપર મધ્યમાં જ તેમને અકસ્માત સર્જી બાઈકને અડફેટે લીધું હતું.

જેમાં પોતાનો કામધંધો પૂર્ણ કરી ઘરે જતા કિરીટભાઇ પોંદા બાઈક પરથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ બ્રિજ ઉતરતાની સાથે શીતલ પાર્ક ચોક પહેલા ડાબી તરફ ધ સ્પાયર-2 બિલ્ડિંગ પાસે કાર વીજપોલમાં અથડાઈ હતી.

બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત.

સ્થાનિકોએ કારચાલક નશામાં હોવાના આક્ષેપો કર્યા

બનાવ અંગે જાણ થતા પોલીસે તુરંત ઘટનાસ્થળ પર પહોંચી મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે કારચાલક અનંત મહેન્દ્રભાઈ ગજ્જર અને તેની સાથે કારમાં સવાર દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયની અટકાયત કરી તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કારચાલક પીધેલો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા કારચાલકનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. તેમાં જો નશાની હાલતમાં જણાશે તો પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવશે.

અકસ્માત સર્જનાર કાર

બ્રિજ પર CCTV લગાવવા માગ ઉઠી હતી

ઉલ્લેખનીય છે કે, મોટા ભાગે રાત્રિ દરમિયાન બ્રિજ પર ગાડીઓ પૂરપાટ ઝડપે જ ચાલતી હોય છે અને અકસ્માત સર્જી સામાન્ય માણસની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. આ અગાઉ પણ આ જ બ્રિજ પર અકસ્માતની બેથી ત્રણ ઘટના બની છે. જે સમયે પણ શીતલ પાર્ક ચોક ખાતે સરકારી સીસીટીવી કેમેરા લગાવવા માંગ ઉઠી હતી, પરંતુ આજ દિવસ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઇ શકી નથી.

મૃતકની ફાઈલ તસવીર.
મૃતકની ફાઈલ તસવીર.

 

બીજા દિવસે બીજો અકસ્માત સર્જાતા પોલીસ કામગીરી પર સવાલો

રાજકોટ શહેરમાં બેફામ ઝડપે કાર હંકારતા લોકોની સામે પોલીસ મૂકપ્રેક્ષક બની નાના વાહનચાલકોને રોકી મસમોટા દંડ ઉઘરાવી રહી છે, પરંતુ અકસ્માત સર્જી બીજાની જિંદગી જોખમમાં મુક્તા લોકો સામે કોઈ કડક કર્યવાહી કરાવી શક્તિ નથી. છેલ્લા બે દિવસમાં બે-બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બને કારના ચાલકો પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોવાનું ફલિત થઇ રહ્યું છે.