Gujarat

40 જેટલા દર્દીઓને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયા; ઝાડા, ઉલટી તેમજ તૂટ કળતર જેવી તકલીફો થવા લાગી

હોળી-ધુળેટી મનાવવા માટે ચાલીને દ્વારકા જતા કેટલાક પદયાત્રીઓને ગતરાત્રે ખંભાળિયા નજીક કોઈ ખોરાકની વિપરીત અસર થતાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મહિલાઓ તથા પુરુષોને ઝાડા, ઉલટી તેમજ તૂટ કળતર જેવી તકલીફો થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 35થી 40 જેટલા પદયાત્રીઓને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ અન્ય જિલ્લામાંથી ચાલીને દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે જઈ રહેલા એક સંઘના કેટલાક પદયાત્રીઓ ગતરાત્રે ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. આ પદયાત્રી સંઘ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વડવાળા હોટલ પાસે પહોંચતા આ યાત્રીસંઘમાં રહેલા કેટલાક મહિલાઓ તથા પુરુષોને ઝાડા, ઉલટી તેમજ તૂટ કળતર જેવી તકલીફો થવાની ફરિયાદો થતા આ અંગે તેમના દ્વારા તાકીદે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

આથી ઘટના સ્થળે દોડી ગયેલા ઈમરજન્સી 108ના સ્ટાફે આશરે 35 જેટલા દર્દીઓને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફૂડ પોઈઝનિંગના કારણે કારણે આ લોકો બીમાર પડ્યા હોવાનું જાહેર થયું હતું. આ બનાવ બનતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, આર.એમ.ઓ. સહિત તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા આ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેમાં તમામને હાલ ભય મુક્ત ગણવામાં આવ્યા હતા.