Gujarat

આર્થિક સંકડામણમાં પતિ-પત્નીએ બે બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હતું; 4 આરોપીમાંથી મુખ્ય 2 સૂત્રધાર 3 દિવસના રિમાન્ડ પર

ભાણવડ નજીક આવેલા ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલી જામનગરના આહિર દંપતી તેમજ તેમના બે યુવાન પુત્ર-પુત્રી દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં મૃતકોએ લખેલી ચીઠ્ઠીને આધારે જામનગરમાં રહેતા બે શખસોને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

આ બે મુખ્ય સૂત્રધારો ત્રણ દિવસના રિમાન્ડ પર છે. તે દરમિયાન વધુ બે આરોપીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે. સાથે જ વધુ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

સમગ્ર હાલાર પંથકના અતિ ચકચારી બની ગયેલા આ કેસમાં જામનગરમાં માધવબાગ – 1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉં.વ. 42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ. 42), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉં.વ. 20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ. 18) નામના ચાર પરિવારજનોએ બુધવારે ભાણવડ નજીક આવેલા ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

આ પ્રકરણમાં તેમની પાછળ કરવામાં આવતી પઠાણી ઉઘરાણી તેમજ આર્થિક સંકડામણ સંદર્ભેની મૃતકના નાનાભાઈની પોલીસ ફરિયાદ બાદ આરોપી એવા જામનગરના રહીશ વિશાલસિંહ ફતુભા જાડેજા અને વિશાલ પરસોતમભાઈ પ્રાગડાને તપાસનીસ અધિકારી પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ દ્વારા ઝડપી લઇ, ગઈકાલે આ બંનેને અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલત દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

સમાજ માટે લાલબત્તીરૂપ કિસ્સો

આ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સૂત્રધાર વિશાલસિંહ જાડેજા સાથે મદદગારીમાં હોવાથી જામનગર તાબેના ઢીચણા વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદીપસિંહ કનકસિંહ જાડેજાની સંડોવણી પણ ખુલતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી. અત્યંત ચકચારી અને સમાજ માટે લાલબત્તીરૂપ આ કિસ્સા માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા એસ.આઈ.ટી.ની પણ રચના કરવામાં આવી હતી.