શહેરના કિશનવાડી વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકના ઘર પર પથ્થરમારો અને તોડફોડ કર્યા બાદ, મોડી રાત્રે તેની કિંમતી મોટરસાયકલને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકની માતાએ નીતિન રાજપૂત અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મિલનના ઘરે કેટલાક માણસો ઝઘડો કરવા પહોંચ્યા પ્રાપ્ત વિગતો અનુસાર, કિશનવાડી વુડાના મકાનમાં રહેતા લીલાબેન પરમારના પુત્ર મિલન ઉર્ફે ગટ્ટી સાથે આરોપી નીતિન રાજપૂતને અગાઉ વર્ષ 2019થી ઝગડો ચાલતો હતો. 28 મેની રાત્રે સાડા આઠ વાગ્યે લીલાબેનને તેમની દીકરી રણજીતાએ ફોન પર જાણ કરી હતી કે મિલનના ઘરે કેટલાક અજાણ્યા માણસો ઝગડો કરવા આવ્યા છે. લીલાબેન અને તેમની દીકરી તાત્કાલિક મિલનના બ્લોક નં. 11 પર પહોંચ્યા ત્યારે મિલન ઘરે હાજર ન હતો અને ઘરને લોક મારેલું હતું.
ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા આથી ઉશ્કેરાયેલા આરોપીઓ નીતિન રાજપૂત, સન્ની ઉર્ફે બાબલો, નિતીપ ઉર્ફે બાબા અને વિશાલ ઉર્ફે ખારી નામના શખ્સોએ ઘરની બારીઓના કાચ તોડી નાખી ભારે તોડફોડ કરી હતી. જે તે સમયે પરિવારે 112 નંબર પર પોલીસ બોલાવી હતી, પરંતુ મિલન આવ્યા પછી ફરિયાદ કરીશું તેમ કહી પરિવાર સુઈ ગયો હતો.
શખસોએ બાઈકને આગ ચાંપી દીધી સાંજના સમયે થયેલી તોડફોડ બાદ, મોડી રાત્રે આશરે દોઢથી બે વાગ્યાની આસપાસ હવામાં કંઈક સળગવાની તીવ્ર વાસ આવતા અને લોકોનો અવાજ સાંભળવા મળતા પરિવાર જાગી ગયો હતો. તેમણે બારીમાંથી બહાર જોયું તો મિલનનું ટૂ-વ્હીલર ભડભડ સળગી રહ્યું હતું. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવતા, ફાયર ફાઈટરોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

