Gujarat

જામનગરમાં નેપાળી યુવાનની હત્યા: મિત્ર આરોપી પકડાયો

જામનગરમાં નેપાળી યુવાનની હત્યા કેસમાં તેના જ મિત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં પત્ની વિશેની ટિપ્પણીથી ઉશ્કેરાઈને હત્યા કર્યાની કબૂલાત કરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે બંને મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન મૃતકે આરોપીની પત્ની વિશે ટીકા-ટિપ્પણી કરી હતી, જે તેને ગમ્યું ન હતું. આથી આવેશમાં આવી તેણે પથ્થર મારી હત્યા કરી હતી.

જામનગરના ગ્રીન સિટી નજીકથી ૨૮ વર્ષીય તપેન્દ્ર સાઉદ નામના નેપાળી યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

મૃતકના પિતા શંકર સાઉદે પોતાના પુત્રની હત્યા થઈ હોવાનું અને તેના મિત્ર રાકેશ ઉર્ફે રામુ છેત્રી નામના નેપાળી શખ્સે પથ્થર મારી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.