Gujarat

જામનગર શહેરમાં ચોરીના રૂ. 6.35 લાખના દાગીના મૂળ માલિકને પરત

જામનગર શહેરના સીટી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત એક જાગૃત અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત ગુન્હામાં કબ્જે કરાયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકને સહીસલામત પરત સોંપવામાં આવ્યા છે. શહેરના બર્ધનચોક બુલામેડી રોડ ગલેરીયા શેરીનં-2 દીલાવર પાનવાળી શેરીમાં રહેતા અલીઅશગરભાઈ યાહ્યાભાઈ ગાંધી (ઉ.વ.49) નામના વેપારીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. જે સોનાના દાગીના પરત મેળવવા માટે નામદાર કોર્ટમાં કાયદેસરની અરજી કરી હતી.

કોર્ટની પ્રક્રિયા બાદ, સીટી ‘એ’ ડીવીઝન પોલીસ દ્વારા તેઓને આદરપૂર્વક પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને પીઆઈ વી.એમ.ડોડીયાએ અંદાજિત કિંમત રૂ. 6,35,400ના સોનાના દાગીના સંપૂર્ણ સુરક્ષા સાથે પરત સોંપવામાં આવ્યા હતા.