વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,67,500ના મુદ્દામાલની ચોરી કરી છે. પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા હતા, તે સમય દરમિયાન જ તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.
સવારે પરિવાર નીચે આવ્યો તો નકૂચો તૂટેલો મળ્યો જલારામનગરમાં બે સંતાનો સાથે રહેતા મીનાબેન સંજયભાઈ આહીરના પતિ કર્ણાટક ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે આશરે 12 વાગ્યે મીનાબેન પોતાના બાળકો સાથે મુખ્ય દરવાજાને તાળું મારી સામેના મકાનના ધાબે સૂવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે પરત આવતાં ઘરનો નકૂચો તૂટેલો અને અંદરની લાઈટો ચાલુ હાલતમાં જોવા મળી હતી.
તિજોરી અને પલંગ તોડી સામાન ચોર્યો ઘરની અંદર જઈ તપાસ કરતાં બેઠક રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ લોખંડની તિજોરી તેમજ લાકડાના પેટી પલંગના લોક તોડી તેમાંથી ₹70,000ની સોનાની પેન્ડલવાળી ચેઇન, ₹30,000નો સોનાનો હાર, સોનાની વીંટી, ઝૂમર તેમજ ચાંદીની પાયલ, લક્કી, કમરનો આંકડો અને ₹30,000ની રોકડ રકમ સહિત કિંમતી ઘરેણાંની ચોરી કરી લીધી હતી.

