રાજકોટ શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના 80 ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડીયારપરામાં રહેતી રૂચીકુમારી અટલ કુમાર (ઉ.વ.21) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રૂચીકુમારીએ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરી હતી.
આપઘાત કરનાર રૂચીકુમારી મુળ બિહારની વતની હતી અને તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં એક દિકરો છે તેમજ હાલમાં તેણી સગર્ભા હતી. જયારે પતિ અટલ કુમાર કારખાનામાં મજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. 6 મહિના પહેલા જ પતિ સાથે બિહારથી અહિ રહેવા આવી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરના આજી GIDC રોડ પર આવેલા ‘જય કિશન પ્લાસ્ટિક’ નામના કારખાનામાં રહેતી મૂળ અમદાવાદની કાજલ મિતેશભાઈ પંડ્યા (ઉં.વ.26) ગઈકાલે રાત્રિના 1 વાગ્યા આસપાસ કારખાનાની ઓરડીના બાથરૂમમાં હતી ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પતિ મિતેશે દરવાજો તોડી જોતા કાજલ લટકતી જોવા મળી હતી અને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી.
પોલીસ તપાસમાં કાજલે 3 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને સંતાનમા 1.5 વર્ષનો એક દીકરો છે. પરિવાર મૂળ અમદાવાદનો વતની છે પરંતુ છેલ્લા 7 મહિનાથી રાજકોટમાં રહે છે. આપઘાતના પ્રયાસનું કારણ જાણવા ન મળતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

