વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જૂને ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સાસરિયાના ગામ પહાડપુરની મુલાકાત લેશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
મુર્મુના સ્વર્ગસ્થ પતિ શ્યામ ચરણ મુર્મુનું વતન પહાડપુર, રૈરંગપુર શહેરથી લગભગ ૨૦ કિમી દૂર આવેલું છે, જ્યાં ઓડિશામાં ભાજપ સરકારની બીજી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાશે.
દ્રૌપદી મુર્મુનો જન્મ રૈરંગપુર સબડિવિઝનના ઉપરબેડા ગામમાં થયો હતો અને તેમના લગ્ન પહાડપુરના શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા. ૨૦૨૨ માં રાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા તેમના પતિ અને બે પુત્રોનું અવસાન થયું હતું. ગામમાં મુર્મુના પતિ અને પુત્રો માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦ જૂનના રોજ રૈરંગપુરના દંડબોશ ખાતે એક મેગા જાહેર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન, ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.
કાર્યક્રમ દરમિયાન, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, નવી માળખાગત પહેલ માટે શિલાન્યાસ કરવામાં આવશે, અને મહાનુભાવો જાહેર સભાને સંબોધિત કરશે.
“જાહેર કાર્યક્રમ પહેલાં, રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન પહાડપુર ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રાદેશિક સિદ્ધિઓ અને પહેલો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લેશે,” રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
દરમિયાન, ઓડિશા સરકારે મયુરભંજ જિલ્લાની ફફૈંઁ મુલાકાત માટે તૈયારીઓ ઝડપી બનાવી છે.
રાષ્ટ્રપતિ મુર્મુ ૧૯ જૂને રૈરંગપુર આવવાના છે, જ્યારે પ્રધાનમંત્રી ૨૦ જૂને રાજ્યસ્તરીય ઉજવણીમાં જાેડાશે.
મુલાકાત પહેલા, મુખ્ય સચિવ અનુ ગર્ગે શનિવારે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી અને અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં બધી તૈયારીઓ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય હિસ્સેદારોએ હાજરી આપી હતી. કલેક્ટર, પૂર્વ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષક સહિત મયુરભંજ જિલ્લાના અધિકારીઓએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ મેનેજમેન્ટ, કાફલાની હિલચાલ, હેલિપેડની તૈયારી, એરપોર્ટ લોજિસ્ટિક્સ, રહેઠાણ, આરોગ્યસંભાળ સુવિધાઓ, અગ્નિ સલામતી, અવિરત વીજળી અને પીવાના પાણી પુરવઠો, માર્ગ માળખાગત સુવિધા, સ્વચ્છતા, ટેલિકોમ્યુનિકેશન અને મીડિયા સંકલન પર ચર્ચાઓ કેન્દ્રિત હતી.
ગૃહ વિભાગના વિશેષ સચિવ રાધા કિશન શર્માએ તૈયારીઓ અંગે વિગતવાર સ્થિતિ અહેવાલ રજૂ કર્યો.
મુખ્ય સચિવે વિભાગો અને જિલ્લા અધિકારીઓ વચ્ચે સરળ સંકલન, પ્રગતિનું નિયમિત નિરીક્ષણ અને સમયરેખાનું કડક પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા, પ્રોટોકોલ અને લોજિસ્ટિકલ મેનેજમેન્ટના ઉચ્ચતમ ધોરણો સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
બેઠક બાદ, પૂર્વીય રેન્જના ડીઆઈજી પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત પોલીસ દળની લગભગ ૧૫૦ પ્લાટૂન તૈનાત કરવામાં આવશે.
ગુરુવારે અગાઉ, ઓડિશાના પોલીસ મહાનિર્દેશક વાય બી ખુરાનિયાએ મયુરભંજની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારના બીજા વર્ષગાંઠના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ કર્મચારીઓને આંતર-રાજ્ય સરહદી વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના આપી હતી જેથી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીજીપીએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગોનું પણ નિરીક્ષણ કર્યું હતું અને મુર્મુ દ્વારા ઓડિશાના બે દિવસીય પ્રવાસ દરમિયાન મુલાકાત લેવાના સ્થળોએ ગોઠવણોની સમીક્ષા કરી હતી.

