ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો?? વ્હીપ છતાં ૯માંથી માત્ર ૩ જ સાંસદો બેઠકમાં હાજર
ફરી એકવાર મહારાષ્ટ્રમાં નેતાઓની અદલાબદલી વચ્ચે રાજકારણ ગરમાયું છે, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદો બળવો કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થતાં જ દેશભરના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. એકનાથ શિંદે જૂથની પૂરેપૂરી કોશિશ છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદોમાં એવું મોટું ગાબડું પાડવામાં આવે, જેનાથી સંસદની અંદર પણ સત્તાનું સંતુલન બદલી શકાય.
મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલો હાઇવોલ્ટેજ ડ્રામા હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના(ેંમ્)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે, ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે પક્ષની સંસદીય બેઠક યોજાઈ હતી. પરંતુ પક્ષ દ્વારા કડક આદેશ અને ‘વ્હીપ‘ જાહેર કરાયો હોવા છતાં, સવારે ૧૧ વાગ્યાના નિયત સમયે ૯માંથી માત્ર ૩ લોકસભા સાંસદો જ બેઠકમાં હાજર રહ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં ભંગાણ નક્કી; ૯માંથી ૩ જ સાંસદ હાજર
બળવાખોર કેમ્પનો હિસ્સો હોવાનું મનાતું હોય તેવા ૬ સાંસદોમાંથી એક પણ નેતા આ બેઠકમાં ફરક્યા નથી. આ ઘટનાથી ઉદ્ધવ જૂથને મોટો ઝટકો લાગ્યો છે અને પક્ષ વિભાજન સત્તાવાર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
બેઠકમાં હાજર રહેલા ૩ લોકસભા સાંસદોમાં અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજેનો સમાવેશ થાય છે.
સાંસદો હજુ કેમ છે શાંત?
રાજકીય ગલિયારાઓમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે જે સાંસદો ઉદ્ધવ ઠાકરેથી નારાજ હોવાનું કહેવાય છે, તેઓ હજુ સુધી ખુલ્લેઆમ શિંદે જૂથ સાથે કેમ નથી આવ્યા?
વાસ્તવમાં, આ મામલો માત્ર આંકડાની સંખ્યાનો નથી પરંતુ પરસ્પર ભરોસાનો પણ છે. આ જ કારણે તમામ અટકળો અને બેઠકોના દોર બાદ પણ ‘ઓપરેશન ટાઇગર ૨‘ હાલમાં તેના અંતિમ પડાવ પર પહોંચી શક્યું નથી. રાજકીય વિશ્લેષકો માને છે કે પડદા પાછળ હજુ પણ મોટી ગોઠવણ ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જાેવા મળી શકે છે.
બળવાખોર સાંસદોની મુખ્ય માંગણીઓ અને ભવિષ્યની ચિંતા
દિલ્હીથી મુંબઈ સુધી ચાલી રહેલી આ રાજકીય ખેંચતાણ વચ્ચે સૌથી મોટો પેચ બળવાખોર સાંસદોની શરતો અને માંગણીઓને લઈને ફસાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથથી નારાજ સાંસદો માત્ર પક્ષ બદલવા ખાતર તૈયાર નથી, પરંતુ તેઓ શિંદે જૂથમાં જાેડાયા પછી પોતાની રાજકીય ભૂમિકા શું હશે તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા ઈચ્છે છે.
આ સાંસદો ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલી અને સંગઠનાત્મક ર્નિણયોથી અસહજ જરૂર છે, પરંતુ કોઈ મજબૂત રાજકીય ગેરંટી વિના તેઓ નવો દાવ રમવા તૈયાર નથી. તેમની પ્રાથમિકતાઓમાં કેન્દ્રીય મંત્રી પદ, ભવિષ્યની ચૂંટણીમાં ટિકિટની ખાતરી, પોતાના વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ અને કાનૂની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ સામેલ છે. આ આંતરિક ખેંચતાણને કારણે જ પૂરતી સંખ્યા હોવા છતાં આખરી ર્નિણય સતત ટળી રહ્યો છે.
આંકડાકીય બળ અને કાનૂની માન્યતાનો મોટો અવરોધ
લોકસભામાં કોઈપણ નવા જૂથને કાનૂની માન્યતા અપાવવા માટે બે-તૃતીયાંશ સાંસદોની સંખ્યા હોવી અનિવાર્ય છે. ભાજપ અને શિંદે જૂથ ઉતાવળમાં એવું કોઈ પગલું ભરવા નથી માંગતા જેના કારણે ભવિષ્યમાં મોટી કાનૂની મુશ્કેલી ઊભી થાય. હાઈકમાન્ડ તરફથી પણ સ્પષ્ટ સંકેત છે કે જ્યાં સુધી પૂરતી સંખ્યા અને સાવર્ત્રિક રાજકીય સહમતી ન બને ત્યાં સુધી આગળ વધવું નહીં.
બુધવારે એવી ચર્ચા જાેરશોરથી ચાલી હતી કે છ સાંસદોએ અલગ જૂથ બનાવવા માટે લોકસભા સ્પીકરને પત્ર સોંપ્યો છે, પરંતુ વરિષ્ઠ સૂત્રોએ આ દાવો નકારી કાઢ્યો હતો. વાસ્તવમાં આ છ સાંસદોમાંથી માત્ર ચાર જ દિલ્હી પહોંચ્યા હોવાથી જરૂરી સંખ્યાબળના અભાવે આ ઓપરેશન હાલ પૂરતું લટકી ગયું છે. ભાજપ નેતૃત્વ અહીં પણ એ જ જૂની વ્યુહરચના અપનાવવા માંગે છે, જેમાં પહેલા પૂરતી સંખ્યા એકઠી કરવામાં આવે છે અને ત્યાર બાદ જ બંધારણીય પ્રક્રિયા હાથ ધરાય છે.
સત્તામાં હિસ્સેદારી અને કેન્દ્રીય મંત્રી પદની ચર્ચા
સાંસદો વચ્ચે કેન્દ્રીય મંત્રી પદ અને સત્તાની વહેંચણીને લઈને પણ અલગ-અલગ મત મતાંતરો પ્રવર્તી રહ્યા છે. કેટલાક સાંસદો એવી આશા રાખીને બેઠા છે કે જાે તેઓ શિંદે જૂથનો સાથ આપશે તો તેમને કેન્દ્ર સરકારમાં મોટું સ્થાન અને પ્રતિનિધિત્વ મળી શકે છે. બીજી તરફ, અમુક નેતાઓ માત્ર પોતાના પ્રાદેશિક ભવિષ્ય અને સંગઠનમાં પોતાની પકડ મજબૂત રાખવા માટે આશ્વસ્ત થવા માંગે છે.
આમ, આ સમગ્ર વાતચીત માત્ર પક્ષ પલટા સુધી સીમિત નથી, પરંતુ ભવિષ્યની સત્તામાં હિસ્સેદારી અને રાજકીય અસ્તિત્વ સાથે જાેડાયેલી છે. જ્યાં સુધી આ તમામ સવાલોના લેખિત કે મજબૂત જવાબો નહીં મળે ત્યાં સુધી કોઈ મોટો ધડાકો થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની જવાબી વ્યૂહરચના અને કાનૂની લડત
સામે પક્ષે ઉદ્ધવ ઠાકરે જૂથ પણ હાથ પર હાથ ધરીને બેસી રહ્યું નથી અને પોતાના સાંસદોને બચાવવા પૂરેપૂરું સક્રિય થઈ ગયું છે. ઠાકરે જૂથ દ્વારા તાત્કાલિક અસરથી સાંસદો માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે અને સંસદીય દળની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે જ તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર પણ સોંપ્યો છે.
ઠાકરે જૂથની દલીલ છે કે માત્ર સાંસદોની સંખ્યા બતાવી દેવાથી કોઈ અન્ય પક્ષમાં વિલીનીકરણની પ્રક્રિયા કાયદેસર બનતી નથી. જાે સ્પીકર સમક્ષ માન્યતાનો કોઈ પ્રશ્ન ઊભો થાય, તો તેમનો પક્ષ રાખવાની તક પણ મળવી જાેઈએ. આનાથી સ્પષ્ટ થાય છે કે આ મામલો હવે માત્ર રાજકીય દાવપેચનો નથી રહ્યો, પરંતુ કાનૂની મોરચે પણ અત્યંત સંવેદનશીલ બની ગયો છે. હાલની સ્થિતિએ શિંદે જૂથે સંખ્યાબળની સાથે પરસ્પર ભરોસાનું સમીકરણ પણ ગોઠવવું પડશે, જેના કારણે જે ઓપરેશન ગણતરીના દિવસોમાં પૂરું થવાનું મનાતું હતું તે હવે ‘વેઇટ એન્ડ વોચ‘ની સ્થિતિમાં આવી ગયું છે.

