(જીજ્ઞેશ પટેલ દ્વારા)
માણાવદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઇ હતી જેમાં કાર્યકરો દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલ અને અરવિંદભાઈ લાડાણીએ સિનેમા ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
માણાવદર પ્રજાપતિ સમાજ ખાતે કોંગ્રેસની પબ્લિક મીટીંગ યોજાઇ હતી તેની શરૂઆતમાં મોરબી પુલ દુર્ઘટનાના હતભાગીઓની યાદમાં બે મિનિટનું મૌન કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ મીટીંગમાં શક્તિસિંહ ગોહિલે મોંઘવારી, બેરોજગારીના મુદ્દે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ સરકાર કામ કાંઈ નથી કરતી પરંતુ ચૂંટણી આવે એટલે હિન્દુ મુસલમાન કરાવવાના પ્રયત્નો થાશે. આ લોકોને કંઈ ફરક નથી પડતો રામનો મરે તોય ભલે ને રહીમનો મરે તોય ભલે બસ મારા મતનો તરભાણુ ભરે. એ ના હે રામ કે ના હ રહીમ કે. દેશમાં કોઈનું પણ નુકસાન થાય એ દેશનું નુકસાન થાય એ આપણી વિચારધારા છે કોંગ્રેસ ફક્ત સત્તા લેવા માટે નહીં સેવાની સાધના માટેની સરકાર બનશે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ કોંગ્રેસનું સો ટકા મતદાન કરાવી પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. કોંગ્રેસના આ પ્રોગ્રામમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, 85 માણાવદર વિધાનસભાના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી વગેરે કોંગી નેતાઓએ હાજરી આપી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


