નવીદિલ્હી
શ્રીકૃષ્ણ જન્મસ્થાન શાહી ઈદગાહ વિવાદ મામલે આજે મથુરા કોર્ટે વિવાદિત સ્થળના સર્વે માટે આદેશ આપ્યો છે. અમીને ૨૦ જાન્યુઆરી સુધીમાં નક્શા સહિત શાહી ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટેને સોંપવાનો રહેશે. કોર્ટે તમામ પક્ષકારોને પણ નોટિસનું પાલન કરાવવાનો આદેશ આપ્યો છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન તૃતિય સોનિકા વર્માની કોર્ટે શાહી ઈદગાહના વિવાદિત સ્થળના સર્વેનો આદેશ આપ્યો. વકીલ શૈલેષ દુબેએ કહ્યું કે હિન્દુ સેના તરફથી દાખલ કરાયેલા દાવામાં આદેશ આવ્યો છે. અત્રે જણાવવાનું કે કોર્ટમાં દાવો શ્રીકૃષ્ણ જન્મસ્થળની ૧૩.૩૭ એકર જમીન મુક્ત કરાવવા અને શાહી ઈદગાહને વિવાદિત સ્થળથી હટાવવા માટે કરાયો છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન (તૃતિય)ની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર સુનાવણી કરતા શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. ૨૦ જાન્યુઆરી સુધી અમીને તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. નોંધનીય છે કે આ એ જ રીતે છે જે રીતે વારાણસીમાં જ્ઞાનવાપી મામલે કોર્ટે આદેશ આપ્યો હતો. તેના પર ગુરુવારે પક્ષકારોને નોટિસ મળવાની હતી પરંતુ સુનાવણી થઈ શકી નહીં. આ મામલે આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે. ગત ૮ ડિસેમ્બરે દિલ્હીમાં રહેતા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજીતસિંહ યાદવે સિવિલ જજ સીનિયર ડિવિઝન (તૃતિય)ના જસ્ટિસ સોનિકા વર્માની કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જેમાં કહેવાયું હતું કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની ૧૩.૩૭ એકર જમીન પર મંદિર તોડીને ઔરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જનમથી લઈને મંદિર બનવા સુધીનો સમગ્ર ઈતિહાસ તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. વર્ષ ૧૯૬૮માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ વિરુદ્ધ શાહી મસ્જિદ ઈદગાહ વચ્ચે થયેલી સમજૂતિને પણ તેમણે પડકારી છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું કે ૮ ડિસેમ્બરના રોજ કોર્ટ સમક્ષ સમગ્ર મામલો રજૂ કરાયો હતો. કોર્ટે તે જ દિવસે કેસ દાખલ કરી લીધો હતો અને અમીનને વાસ્તવિક સ્થિતિનો સર્વે કરાવીને નક્શા સહિત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે ૨૨ ડિસેમ્બરે કોર્ટમાં સુનાવણી થઈ શકી નહીં. હવે ૨૦ જાન્યુઆરી સુધી વિવાદિત સ્થળનો સર્વે કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.


