સૌરાષ્ટ્રના અગ્રગણ્ય કેળવણીકાર સમાજસેવીશ્રી પેથલજીભાઈ ચાવડા સ્થાપિત જૂનાગઢની સંસ્થા ડો.સુભાષ એકેડેમી તેમજ ડો.સુભાષ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે પ્રવાસ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, અધ્યક્ષ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડિયા, દેવાભાઇ માલમ, ભગવાનજીભાઇ બારડ, ઉદયભાઇ કાનગડ અને ત્રિકમભાઇ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ડો.સુભાષ એકેડેમી સૌને શિક્ષણક્ષેત્રે પ્રેરણા આપતી સંસ્થા છે. અહીં દિકરીઓના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણને સમર્પિત કાર્ય થાય છે. આ સંસ્થામાં શૈક્ષણિક સ્ટાફ, ડો.સુભાષ યુનિવર્સિટી, વાલીગણ અને દિકરીઓના સમન્વયથી સંસ્કાર સાથેના શિક્ષણની સિંચન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ સાથે રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિમાં સહભાગી થાય જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ કરવાનો છે અને દેવભૂમિ દ્વારકામા ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી પ્રતિમા મૂકાશે. તેમજ જૂનાગઢના વિકાસની વાત કરતા જણાવ્યું કે, જૂનાગઢમાં નરસિંહ મહેતા સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણની સંસ્થા ઉભી કરી ચલાવવી ખુબ અઘરૂ કામ છે. પરંતુ પેથલજીબાપાના પરીવારે દિકરીઓને શિક્ષણ આપવાનું કામ કર્યું છે અને સુપેરે પાર પાડ્યું છે. અહીં શિક્ષણ સાથે સંસ્કારનું પણ ઘડતર થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં ધારાસભાની ચૂંટણીમાં વિજેતા બની આહીર સમાજને ગૌરવ અપાવનાર ધારાસભ્યો સર્વ શ્રી ભગવાનભાઈ બારડ, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી ત્રિકમભાઈ છાંગાનું પૂર્વ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા દ્વારા સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડો.સુભાષ એકેડેમી અને યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ અને સ્પર્ધામાં રેન્ક મેળવી સંસ્થાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.
તે ઉપરાંત રાત્રિના સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા ડો.સુભાષ યુનિવર્સિટી દ્વારા રંગારંગ કાર્યક્રમનું તથા સાંસ્કૃતિક મહોત્સવ પણ ઉજવાશે, જેનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમ રાત્રે ૮-૩૦ વાગ્યે ડો. સુભાષ રંગભવન પર યોજાશે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર વિધી ડો.સુભાષ એકેડેમીના ટ્રસ્ટી રાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન ડો.બલરામ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.


