ગાંધીનગર
ગાંધીનગરના ઝુંડાલ ગામની સીમમાં રીક્ષા પલટી ખાઈ જતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ કેટરર્સનું સોલા સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ તેલિયા મિલની ચાલીમાં રહેતા પોકરરામ મશરીલાલ પવાર ઇનોવા ગાડી ફોર વ્હીલ એમ્બ્યુલન્સ ગાડી ઝાયડસ તેમજ સીમ્સ હોસ્પીટલ માટે ફેરવે છે. જેમના મોટા ભાઈ નારાયણજી પવારનો દિકરો રાજુ નારાયણજી પવાર (મારવાડી) તેની પત્ની ગીતા તથા દસ માસના દીકરા મયંક સાથે વલાદ ગામે રહી રાજુ કેટરર્સનો ધંધો કરતો હતો. ગઈકાલે સાંજના સમયે પોકરરામ ઝાયડસ હોસ્પીટલે બેઠા હતા. તે વખતે તેમના ભત્રીજા રાજુના જુના શેઠ મનોજ રાજપુરોહીતે ફોન કરીને જાણ કરી હતી કે, અત્યારે મારા ઉપર શંભુસીગનો ફોન આવેલ અને તેણે મને કહેલ કે, રાજુ મારવાડીનુ ઝુંડાલ ગામે રોડ ઉપર રીક્ષા પલ્ટી ખાઈ જતા એકસીડન્ટ થયેલ છે. બાદમાં પોકરરામ તુરત સોલા હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં રાજુની સારવાર ચાલુ હતી. જાે કે, થોડીવારમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સનાં વાળા બહેનને પૂછતાં વધુમાં જાણવા મળ્યુ હતું કે, રાજુની રીક્ષા પલટી ખાઈ જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી. એ વખતે મળી આવેલો રાજુનો મોબાઇલ તેમજ રૂ. ૯૫૦૦ પણ ૧૦૮ એમ્બ્યુલન્સનાં મહિલા કર્મચારીએ પોકરરામને પરત કર્યા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


