મહેસાણા
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સંસદ સભ્ય શારદાબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય સર્વે સુખાજી ઠાકોર, કે.કે.પટેલ, સરદાર ચૌધરી સહિત કલાકાર એ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે. મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સુર્યનુ મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગ રૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને મહત્વ આપે છે. આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલારસિકો, દેશ-વિદેશમાં લોકો મહોત્સવનો આનંદ માણે છે. આ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય વારસને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવે છે. મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે. આરોગ્ય મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ થકી સાંસ્કૃતિક વારસાનુ મૂલ્ય વધ્યું છે. કલાકારોની કલા,ભાવના આ મહોત્સવથી ઉજાગર થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ તાનારીરી મહોત્સવ જેવા અનેક મહોત્સવથી રાજ્યની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. નૃત્ય એટલે આત્માનું સંગીત, નૃત્યનો હેતું સનાતન સત્યોની સોંદર્ય દ્વારા પ્રતીતી કરાવવાનો છે. આપણાં સાંસ્કૃતિ નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઇ રહ્યાં છે. મોઢેરા સંગીત, નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું હતું. વિશ્વનું અદભુત સ્થાપત્ય બેનમુન મોઢેરા સૂર્યમંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે. આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશના દેવીકા દેવેન્દ્ર દ્વારા કથ્થક નૃત્ય, અમદાવાદના રૂચા ભટ્ટ દ્વારા ભરત નાટ્યમ, અમદાવાદના બિના મહેતા દ્વારા કુચીપુડી, વડોદરાના જીગ્નીષા વૈધ દ્વારા કથ્થક, અમદાવાદના સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસી, કલકત્તાના સોમભા બન્ડોપાધ્યાય દ્વારા મણીપુરી તેમજ અમદાવાદના અભિતા પટેલ દ્વારા ગાયન રજૂ કરવામાં આવ્યું હતું.


